ભરૂચ:
અંક્લેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામ ખાતે છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી વીજળીનો ગંભીર સંકટ સર્જાયો છે. ગામમાં આવેલી GEBની ડીપી બળી જવાના કારણે ખેતી માટે જરૂરી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
વીજ પુરવઠો બંધ રહેતા ગામમાં આવેલી 25થી વધુ બોરવેલની મોટરો બંધ પડી ગઈ છે. જેના પરિણામે અંદાજે 35 એકર જેટલો પાક જોખમમાં મુકાઈ ગયો છે. હાલ ધોમધખતા તાપમાં કેળા તથા લીલાછમ શાકભાજીનો પાક પાણીના અભાવે મુરઝાઈ રહ્યો હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે.
ખેડૂતોનું કહેવું છે કે આ અંગે તેમણે ઓનલાઈન અરજી કરી છે તેમજ વીજ વિભાગના અધિકારીઓ સમક્ષ મૌખિક રજૂઆત પણ કરી છે. છતાં હજુ સુધી નવી ડીપી મૂકવાની કામગીરી શરૂ ન થતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ પાક તૈયાર અવસ્થામાં છે અને આ સમયે પાણી ન મળવાથી પાક સુકાઈ જવાની સ્થિતિ ઉભી થઈ છે. જો તાત્કાલિક વીજ પુરવઠો શરૂ નહીં થાય તો ખેડૂતોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે.
આ પરિસ્થિતિને લઈને ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. ખેડૂતોનું કહેવું છે કે આવી સ્થિતિને કારણે કેટલાક ખેડૂતો જીવન ટૂંકાવવાનો વિચાર પણ કરવા મજબૂર બને છે. તેથી ખેડૂતો દ્વારા રાજ્યના ઉર્જા મંત્રી તથા GEBના અધિકારીઓને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપી વહેલી તકે નવી ડીપી મૂકી ગામમાં વીજ પુરવઠો શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
