ભરૂચ : જિલ્લામાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, જે માનવ આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.
આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ વધતા ‘લૂ’ (સન સ્ટ્રોક)ના કેસો નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સમયસર સારવાર ન લેવાય તો આ સ્થિતિ જીવલેણ પણ બની શકે છે.
લૂ લાગવાના મુખ્ય લક્ષણોમાં શરીર તેમજ હાથ-પગમાં અસહ્ય દુખાવો, વધારે તરસ લાગવી, ગભરામણ, ચક્કર આવવું, શ્વાસ ચઢવો અને હૃદયના ધબકારા વધી જવા જેવા લક્ષણો જોવા મળે છે. ખાસ કરીને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં મજૂરી કરતા લોકોમાં આ અસર વધુ જોવા મળે છે.
આરોગ્ય વિભાગે લૂથી બચવા માટે કેટલીક અગત્યની સૂચનાઓ આપી છે. નાગરિકોએ બપોરના સમયે શક્ય હોય તેટલું બહાર જવાનું ટાળવું, હળવા રંગના તથા સુતરાઉ કપડાં પહેરવા, નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને અશક્ત વ્યક્તિઓએ તડકામાં ન ફરવું જોઈએ. દિવસ દરમિયાન પૂરતું પાણી અને પ્રવાહી પદાર્થો પીવા તેમજ લીંબુ શરબત જેવા પેયનો ઉપયોગ કરવો જોઈએ.
બહાર નીકળતી વખતે માથું ઢાંકી રાખવું અને શરીરને ઠંડું રાખવા અવારનવાર પાણીથી લૂછવું જરૂરી છે. ગરમીના સમયમાં ભૂખ્યા ન રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.
જો કોઈ વ્યક્તિને માથાનો દુખાવો, બેચેની, ચક્કર, ઉબકા કે તાવ જેવા લક્ષણો જણાય, તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અથવા સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ.
આ માહિતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા જાહેર કરવામાં આવેલ અખબારી યાદીમાં આપવામાં આવી છે.
