ભરૂચ : ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ મુજબ પંચાયતોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં ભરૂચ જિલ્લા પંચાયત તેમજ જિલ્લાના ૯ તાલુકા પંચાયતોમાં વહિવટદારની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ નવી પંચાયતની પ્રથમ બેઠક યોજાય ત્યાં સુધી તમામ વહીવટી કામગીરી વહિવટદાર સંભાળશે.
માહિતી મુજબ રાજ્યભરમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થતી હોવાથી કાયદાકીય જોગવાઈઓ અનુસાર પુનઃરચનાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. આ દરમિયાન ચૂંટણી પૂર્ણ થઈ નવી બોડી રચાય અને પ્રથમ બેઠક ન મળે ત્યાં સુધી વહિવટદારની નિમણૂંક ફરજિયાત ગણાય છે.
આ સમયગાળા દરમિયાન વહિવટદાર દ્વારા અગાઉ ચૂંટાયેલી પંચાયત દ્વારા મંજૂર કરાયેલા વિકાસ કામો તથા આવશ્યક સેવાઓ જેમ કે પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, વીજળી અને સફાઈ કામગીરી નિયમ મુજબ ચાલુ રાખવામાં આવશે. જોકે, કોઈ નવા નીતિગત નિર્ણયો લેવામાં આવશે નહીં.
ભરૂચ જિલ્લા પંચાયતના વહિવટદાર તરીકે જિલ્લા કલેક્ટરને નિયુક્ત કરવામાં આવ્યા છે. તાલુકા સ્તરે ભરૂચ અને વાગરા માટે ભરૂચના પ્રાંત અધિકારી, જંબુસર અને આમોદ માટે જંબુસરના પ્રાંત અધિકારી, વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ માટે ઝઘડિયાના પ્રાંત અધિકારી તેમજ અંકલેશ્વર અને હાંસોટ તાલુકા માટે અંકલેશ્વરના પ્રાંત અધિકારીને વહિવટદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
