Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરતના ‘ચેરાપુંજી’ ઉમરપાડામાં 15 ઈંચથી વધુ વરસાદ, સમગ્ર તાલુકો જળબંબાકાર  :   મોહન-વીરા નદીમાં ઘોડાપૂર, અનેક કોઝવે અને રસ્તા પાણીમાં ગરકાવ; તંત્રે લોકોને ઘરમાં જ રહેવા અપીલ

Share

 

વાંકલ: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સુરત જિલ્લાના ‘ચેરાપુંજી’ તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં ગુરુવારે 15 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના પગલે સમગ્ર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નદીઓમાં ઘોડાપૂર આવતાં અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા હતા, જ્યારે રસ્તાઓ બંધ થતાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું હતું.

Advertisement

ભારે વરસાદને કારણે તાલુકાની જીવાદોરી સમાન મોહન અને વીરા નદીમાં ભારે પૂર આવ્યું હતું. વડપાડા-બિલવણથી હલધરી ગામ તરફ જતો કોઝવે તેમજ વીરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થતાં સલામતીના ભાગરૂપે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.

દિવતણ-દેવઘાટ માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કદવાલી-ચોખવાડા માર્ગ પણ પાણી ભરાવાને કારણે બંધ થઈ ગયો હતો. બીજી તરફ કોસાડી ગામ પાસે કીમ નદીના પૂરના પાણી ગામના પાદર સુધી પહોંચી ગયા હતા.

વડોલી ખાતે ટોકરવા નદીમાં પૂર આવતાં 10 વર્ષ જૂનો લો-લેવલ બ્રિજ પણ પાણીમાં ડૂબી ગયો હતો. સ્થાનિકોએ બ્રિજની તૂટેલી રેલિંગને લઈને માર્ગ અને મકાન વિભાગ સમક્ષ નવી રેલિંગ તાત્કાલિક લગાવવાની માંગ કરી છે.

આ દરમિયાન કોસંબા-માંગરોળ માર્ગ પર વેલાછા ગામ નજીક રોડ કિનારે આવેલી નાસ્તાની લારી પર અચાનક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. જોકે સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને પોલીસ વિભાગને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે તેમજ બિનજરૂરી બહાર ન નીકળવા અને નદી-નાળાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા મુજબ, ભારે વરસાદના કારણે બંધ કરાયેલા ઉમરપાડા તાલુકાના સાત જેટલા માર્ગો પૈકી ચિતલદા, વહાર, બલાલકુવા, બિલવણ, ઝરપણ, વેલાવી, વડપાડા અને હલધરી તરફના માર્ગો વરસાદનું જોર ઘટતા ફરી વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યા છે.


Share

Related posts

આમોદ તાલુકાનાં સીમરથા ગામમાંથી દેશી દારૂનું વેચાણ કરતાં મહિલાનાં ઘરે પોલીસની રેડ, મહિલા ભાગી છૂટી.

ProudOfGujarat

જૂનાગઢમાં બે માળની ઈમારત ધરાશાયી, 4 લોકોના દટાયાની આશંકા

ProudOfGujarat

26 નવે.થી 6 ડિસે. સુધી કરમસદથી કેવડિયા સુધી 152 કિમીની પદયાત્રા થશે: મનસુખ વસાવા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!