ભરૂચમાં આગામી ૪ મેના રોજ ચાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન
। ભરૂચ ।
ભરૂચ જિલ્લામાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આગામી તા.૪-૫-૨૦૨૫ ના રોજ નીટ ૨૦૨૫ ની પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. જેથી પરીક્ષાના આગોતરા આયોજન માટે ભરૂચ કલેકટર કચેરી ખાતે ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું.
વિદ્યાર્થીઓ શાંતિપુર્ણ અને તણાવમુકત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય તમામ વ્યવસ્થાઓ જેમ કે પરીક્ષા કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરા, કંટ્રોલરૂમ શરૂ કરવા બાબતે, વીજળીનો પુરવઠો ન ખોરવાય તેની તકેદારી રાખવા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ન ખોરવાય તેની તકેદારી રાખવા. ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થાઓ કરવા સહિતની સુચનાઓ કલેક્ટરે લગત અધિકારીઓને આપી હતી.
ભરૂચ શહેરમાં જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, એમ.કે.કોલેજ ઓફ કોમર્સ, કેવી ઓએનજીસી તેમજ જીએનએફસી નર્મદા વિદ્યાલયમાં પરીક્ષા લેવામાં આવશે. નીટ-૨૦૨૫ ના નિયમો મુજબ વિદ્યાર્થીઓને સવારના ૧૧.૦૦ થી બપોરના ૧.૩૦ વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર હાજર થવુ. તેમજ ૧.૩૦ વાગ્યા બાદ કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં નહીં આવે તેવી તમામ વિદ્યાર્થીઓએ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
