જોલવા ગામની થીરુમલાઇ કંપની સામે બનેલી ઘટના
ભરૂચ.
અંક્લેશ્વરના નિયમચોકડી પાસે આવેલાં શ્રીરંગ રેસિડન્સીમાં રહેતાં પંકજ બાબુ વળિયા જોલવા ગામે શ્રીજી પ્રોસેસ કંન્ટ્રોલ કંપની ચલાવે છે તેઓ ઘરે હતાં. તે વેળાં તેમની કંપની પરથી તેમના નાના ભાઇ વિપૂલે ફોન કરી જણાવ્યું હતું કે, કંપનીમાં કામ કરતો પ્રદિપ રાત્રે નવેક વાગ્યે બાઇક લઇને કામ અર્થે કંપનીમાંથી બહાર નિકળ્યો હતો. દરમિયાનમાં નજીકમાં આવેલી થીરૂમલાઇ કંપનીની સામે એક ટ્રેલર ઉભું હતું તેમાં તેની બાઇક ધડાકાભેર ભટકાઇ જતાં તેને ગંભીર ઇજાઓ થઇ છે. નાના ભાઇ વિપૂલનો ફોન આવતાં જ તેઓ તુરંત જોલવા તેમની કંપનીએ જવા નિકળી ગયાં હતાં. ત્યાં પહોંચતાં ઇજાગ્રસ્ત પ્રદિપને જોલવા ગામના એક ખાનગી દવાખાનમાં લઇ ગયાં હોવાનું માલુમ પડતા તેઓ ત્યાં ગયાં હતાં. જઇને જોતાં પ્રદિપકુમાર રાજમનનું સારવાર વેળાં મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
