૧૫ થી ૨૦ વિદ્યાર્થીઓ ટ્રેનમાં ક્ષતિ સર્જાતા મોડા પડયા, સમયસર ન આવતા કોલેજનો નિર્ણય
। ભરૂચ ।
ભરૂચની કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીની પરીક્ષામાં મંગળવારે ૧૫ થી ૨૦ વિદ્યાર્થીઓને બેસવા નહીં દેતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. પરીક્ષા ન આપી શકતા તેઓને બેકલોગ લાગવા સાથે આજની પરીક્ષા હવે આવતા વર્ષે આપવી પડશે તેવી કેફીયત વિદ્યાર્થીઓએ વ્યકત કરી હતી અને ઉમેયું હતુ કે, તેઓ બહારગામની આવતા ટ્રેન મોડી પડતા માત્ર પાંચ મિનિટ મોડુ થયુ હતુ પણ કોલેજ સંચાલકોએ પરીક્ષામાં બેસવા દીધા ન હતા.
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટીની પરીક્ષા હાલ ચાલી રહી છે. ભરૂચની કે.જે.પોલીટેકનીક ખાતે જીટીયુની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે કોલેજમાં ભરૂચ સિવાય બહારથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓ મંગળવારે પરીક્ષા આપવા માટે સમયસર ઘરેથી કોલેજ આવવા માટે નીકળ્યા હતા. અરસામાં પાલેજથી ભરૂચ વચ્ચે ટ્રેનમાં કઈ ક્ષતિ સર્જાતા તેમની ટ્રેન મોડી પડતા ૧૫ થી ૨૦ જેટલા વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા આપવા પહોંચી શકયા ન હતા. તેઓએ પરીક્ષા ખંડમાં પહોંચી તેમને પરીક્ષા આપવા દેવાય તેવી માંગ કરી હતી જો કે કોલેજના સંચાલકોએ નિયમો અનુસાર તેમને પરીક્ષામાં બેસવા નહીં દેવાય તેમ જણાવી તેમને પરીક્ષા આપવા દીધી ન હતી જેથી વિદ્યાર્થીઓમાં તેમના એક વર્ષની મહેનત ખાડે ગઈ હોવાની ભાવના વ્યકત કરી રહ્યા હતા.
