ગરીબોના દબાણ નડતરરૂપ, અમીરોના નજરઅંદાજ
દાદાનું બુલડોઝરની દાદાગીરી માત્ર ગરીબો પર, તવંગરોના શરણે
પાકા બાંધકામો દ્વારા કરાયેલાં દબાણો પણ આવી રીતે દૂર કરાય તેવી માગ
ભરૂચ.
ભરૂચના મામલતદાર કચેરી સામે વર્ષોથી ઝૂપડાં બનાવીને રહેતાં અને ગલ્લા બનાવીને રહેતાં લોકોને બુધવારે સવારે દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજે 10થી 15 જેટલાં ઝૂપડાઓને દૂર કરાયાં હતાં. હાલમાં વરસાદી માહોલ સાથે આગામી દિવસોમાં ચોમાસુ શરૂ થવાનું છે ત્યાં આવા સમયે ગરીબોને છતવિહોણા કરી દેવાતાં તેઓ હવે નિરાશ્રીત બની ગયાં છે.

મામલતદાર કચેરી સામે કેટલાંક લોકો દ્વારા ઝૂંપડા-દુકાન બનાવીને રહેવા સાથે રોજગારી મેળવતાં હતાં. જોકે, બુધવારે વહેલી સવારે એકતરફ વરસાદ વરસતો હતો. ત્યારે વહિવટી તંત્ર દ્વારા આ ઝૂપડા-ગલ્લાઓ દૂર કરવાની કવાયત શરૂ કરી હતી. એક તરફ વરસાદની આફત ને બીજી તરફ વહિવટી તંત્ર દ્વારા માનવતા નેવે મુકીને ગરીબોને છત વિહોણા કરી દેવાયાં હોવાનો રોષ અસરગ્રસ્તોએ કર્યો હતો. બીજી તરફ તેમણે આક્ષેપ કર્યાં હતાં કે, સરકારને જ્યારે હોય ત્યારે માત્ર ગરીબોના જ દબાણો દેખાય છે. જ્યારે શહેરમાં અનેક ગેરકાયદે મકાનો-દુકાનો છે. જેમાં રાજકિય લોકોનું પિઠબળ છે અને પૈસાદાર અને રૂઆબદાર લોકોની છે. ત્યારે તે સરકારને દેખાતી નથી.
———–
સરકાર અમને રોજગારી માટે જગ્યા ફાળવી આપે
અસરગ્રસ્તોએ ઘટનાને લઇને જણાવ્યું હતું કે, તેઓ છેલ્લાં 10-15 વર્ષથી ત્યાં ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. હવે અચાનક તેમની આજિવિકા છીનવાઇ ગઇ છે. પરિવારનું ગુજરાન ચલાવવાનોપ્રશ્ન ઉભો થયો છે. ત્યારે હવે સરકાર દ્વારા તેમને આજિવીકા મળી રહે તે માટે યોગ્ય જગ્યા ફાળવી આપવામાં આવે.
