નગરપાલીકાએ ૩ પોકલેન્ડ અને ૪થી ૫ ટ્રકની મદદથી કચરાનો નિકાલ કર્યો
। ભરૂચ ।
ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં વરસાદી કાંસની સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભરૂચ શહેરમાં ૨૭ જેટલી વરસાદી કાંસ આવેલી છે. એપ્રિલ મહિનાથી નગરપાલીકા દ્વારા વરસાદી કાંસની સફાઈની કવાયત શરૂ કરી દેતાં અત્યાર સુધીમાં ૭૦ ટકા કામગીરી પુરી કરી દેવામાં આવી છે.

ભરૂચ શહેરમાં ચોમાસાની સિઝનમાં શહેરના કેટલાંક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. બીજી તરફ કેટલાંક અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાતાં હોય છે. અને જળબંબાકાર જેવી સ્થિતીનું નિર્માણ થતું હોય છે. ત્યારે આગામી ચોમાસામાં શહેરી વિસ્તારમાંથી વરસાદી પાણીનો સૂપેરે નિકાલ થાય તે માટે પાલિકાની ટીમ કામે જોતરાઈ ગઈ છે. ૩ પોકલેન્ડ તેમજ પાંચથી વધુ ટ્રક સાથે રાખી વરસાદી કાંસોની સફાઈની કામગીરી શરૂ કરી દીધી છે. પાલિકા દ્વારા એપ્રિલ મહિનામાંથી આ કામગીરી શરુ કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં પાલિકાએ ૭૦ ટકાથી વધુ કામ પુરુ કરી દીધું છે. ઉપરાંત અત્યાર સુધીમાં વરસાદી કાંસમાંથી અલગ અલગ પ્રકારનો ૭૦થી વધુ ટ્રક જેટલો કચરો સાફ કરવામાં આવ્યો છે. આગામી એક સપ્તાહમાં વરસાદી કાંસની સફાઈની તમામ કામગીરી પુરી કરી દેવામાં આવશે તેમ પાલિકા સુત્રોએ જણાવ્યું હતું.
લોકોએ પણ જાગૃતતા રાખવી જરુરી બની છે ભરૂચ શહેરમાં આવેલી વરસાદી કાંસની સફાઈની કામગીરી ચાલી રહી છે. જેમાં એકતરફ પાણી સાથે ખેંચાઈ આવતી માટી તેમજ ઝાડી-ઝાંખરાની સફાઈ કરવામાં આવી રહી છે. જોકે, સાથે સાથે વરસાદી કાંસમાં લોકો દ્વારા ફેંકવામાં આવેલા પ્લાસ્ટિક, કપડા, ગોદડાં, વિવિધ પ્રકારની બોટલો, સહિતનો કચરો પણ કાઢવામાં આવ્યો હતો. ત્યારે લોકોએ પણ જાગૃતતા દાખવી વરસાદી કાંસમાં આવા પ્રકારનો કચરો નાંખવામાં ન આવે તે જરૂરી હોવાનું પાલિકા સત્તાધિશોએ જણાવ્યું હતું.
