પોલીસે દસ્તાવેજી પુરાવા એકત્ર કરવા સાથે સ્થળ પંચનામાની કવાયત હાથ ધરી
। ભરૂચ ।
મનરેગા કૌભાંડના દાહોદમાં બચુ ખાબડના પ્રકરણ બાદ હવે ભરૂચ જિલ્લામાં પક્ષ મનરેગા કૌભાંડની ભારે ચર્ચા ચાલી રહી છે. ભરૂચ એ.ડીવીઝન પોલીસમાં મુરલીધર એન્ટરપ્રાઈઝ અને જલારામ એન્ટરપ્રાઈઝ નામની વેરાવળની બે એજન્સીઓ સામે રૂા.૭.૩૦ કરોડની ઠગાઈનો ગુનો નોંધાયો છે ત્યારે પોલીસ હાલમાં તમામ દસ્તાવેજી પુરાવા એકત્ર કરવા સાથે સ્થળ પંચનામાની કવાયત હાથ ધરી છે. બીજી તરફ ભરૂચ જિલ્લા પોલીસવડાએ મામલાની તપાસ માટે ખાસ SIT ની રચના કરી હોવાનુ સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.
ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકામાં પર થી વધુ ગામોમાં રોડ અને રસ્તાના કામોમાં ગેરરિતી આચરીને મટીરીયલનો ઉપયોગ કર્યો ન હોવા છતાં ખોટા બીલો મુકીને બીલ પાસ કરાવી ૭.૩૦ કરોડની ઠગાઈ કરવાના મામલામાં વેરાવળની મુરલીધર એન્ટરપ્રાઈઝ અને જલારામ એન્ટરપ્રાઈઝ સામે મદદનીશ પ્રાયોજના અધિકારીએ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એ.ડીવીઝન પોલીસ દ્વારા તપાસના ભાગરૂપે ડી.આર.ડી.એ. કચેરીમાંથી કૌભાંડના સંલગ્ન તમામ ઓરીજનલ દસ્તાવેજ કબ્જે કરી તેઓ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ૧૫ થી વધુ સરકારી અધિકારી-કર્મચારીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા છે ત્યારે હાલમાં પોલીસે આમોદ, જંબુસરમાં રોડ,રસ્તાની ગેરરિતી થયેલા સ્થળોના પંચનામા કરવાની કવાયત હાથ ધરી છે.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસવડા દ્વારા સમગ્ર તપાસ માટે ખાસ SIT રચના કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ તરીકે ભરૂચ ડીવાયએસપી રહેશે. જયારે ભરૂચ એ.ડીવીઝન પીઆઈ સહિત અન્ય કર્મચારીઓ દ્વારા મામલાની તપાસ કરવામાં આવશે.
