ભરૂચથી દહેજ જતાં અટાલી ગામ પાસેની દુર્ઘટના સર્જાઇ
ભરૂચ.
ભરૂચના જ્યોતિનગર સોસાયટીમાં રહેતાં તેજસ શાંતિલાલ ભાટીયા છેલ્લાં આઠ વર્ષથી દહેજ એચડીએફસી બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ તેમજ બેન્કના અન્ય કર્મીઓને ભરૂચથી દહેજ લાવવા લઇ જવા માટે એક ઇકો કારનો કોન્ટ્રાક્ટ કર્યો હોઇ તેઓ ભરૂચથી દહેજ જવા માટે નિકળ્યાં હતાં. ઇકો કારના ડ્રાઇવર કિરણ પરમારની બાજુમાં તેજસ ભાટિયા બેઠાં હતાં. જ્યારે પાછળની સીટો પર મેહુલ પરમાર, વિશાલ ચૌહાણ, હેત ભટ્ટ, ઋત્વિક રાવળ તેમજ મહેશ હર્ષવર્ધન ખંભાતી બેઠાં હતાં. તેમની ઇકો કાર અટાલી ગામથી એકાદ કિમી આગળ જતાં તેમની ઇકો કાર સ્પિડમાં હતી તે વેળાં અચાનક તેમની કારનું પાછળનું ટાયર ફાટી જતાં ડ્રાઇવર કિરણ પરમારે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં ઇકો કાર પલટી ખાઇ રોડની સાઇડમાં ઉતરી ગઇ હતી. અકસ્માતને પગલે બેન્ક મેનેજર તેજસ ભાટીયા તેમજ અન્ય કર્મચારીઓને ઇજાઓ થઇ હતી. જોકે, તે પૈકીના મહેશભાઇ ખંભાતીને માથામાં પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓ બેભાન થઇ ગયાં હતાં. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવતાં તેમણે ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યાં હતાં.અને 108ની મદદથી તમામને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.જ્યાં તપાસ દરમિયાન મહેશભાઇ ખંભાતીનું મોત થયું હોવાનું તેમજ અન્ય કર્મચારીઓને ફેક્ચર થવા સાથેની ઇજાઓ થઇ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરીછે.
