ભરૂચ.
ભરૂચ શહેર જિલ્લામાં શનિવારે વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે વાલિયા અને નેત્રંગ પંથકમાં ગાજવીજ વરસાદ થયો હતો. આકાશમાંથી વીજળી પડવાની બે ઘટના વાલિયા-નેત્રંગ પંથકમાં નોંધાઇ હતી. જેમાં વાલિયા તાલુકાના સાબરિયા ગામે પેટીયા ગામના ખેડૂત નિલેશ ગુમાન ચૌધરીના ખેતરમાં ઝાડ નીચે બે બળદને બાંધ્યાં હતાં. દરમિયાનમાં આકાશી પડવાને કારણે બન્ન બળદના સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે ખેડૂત નિલેશ ચૌધરીએ તલાટી કમ મંત્રી મારફતે વાલિયા તાલુકા વિકાસ અધિકારીને હકિકતથી વાકેફ કર્યાં હતાં. તેમજ તેમને થયેલાં નુકસાનને લઇને આર્થિક સહાય માટે રજૂઆત કરી હતી.
બીજી ઘટનામાં નેત્રંગ તાલુકામાં આવેલાં લાલ મંટોડી ગામે હનુમાન ફળિયામાં રહેતી 15 વર્ષીય ઓમિકા ગણેશ વસાવા પશુઓને લઇને ગામની સીમમાં ચરાવવા ગઇ હતી. તે વેળાં તે જ્યાં પશુઓને ચરાવી રહી હતી. ત્યાં નજીક જ વીજળી પડતાં તે ગંભીર રીતે દાઝી ગઇ હતી. ઓમિકાને તાત્કાાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
