સગીરાએ કયાં કારણસર પગલુંભર્યુ તે હજી અકબંધ
। ભરૂચ ।
ભરૂચના સ્ટેશન રોડ પરના એક વિસ્તારની અને છેલ્લા બે-ત્રણ મહિનાથી શક્તિનાથ વિસ્તારમાં રહેવા ગયેલાં પરિવારની એક સગીરાએ નર્મદા નદીમાં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

સોમવારે બપોરના સમયે શહેરના દશાશ્વમેઘ ઘાટ પાસેથી નર્મદા નદી પાસે એક સગીરા પહોંચી હતી. દરમિયાનમાં તેણે અચાનક નર્મદા નદીમાં ડુબવાના ઈરાદે તે અંદર જવા લાગી હતી. જોકે, નદીના કિનારે થોડે દૂર સુધી માટીનો કાદવ કિચડ હોઈ તે તેમાં ચાલીને નદીના મધ્યભાગે જઈ રહી હતી. અરસામાં ત્યાં માછીમારી કરવા આવતાં લોકો પૈકીના કેટલાંકે તે દ્રશ્ય જોતાં તેઓએ તુરંત તેને બચાવવા માટે બુમરાણ મચાવી હતી. જોકે, સગીરા નદીમાં અંદરની તરફ જવાનું ચાલુ રાખતાં એક યુવાને તુરંત તેની પાછળ પાછળ નદીના કાદવમાં પડી તેને બચાવવા દોડી ગયો હતો. યેનકેન પ્રકારે તેણે ત્યાં પહોંચી સગીરાને પકડીને બહાર લઈ આવ્યો હતો. સગીરાની પુછપરછ કરતાં તેણે માત્ર તેનું નામ જ જણાવ્યું હતું. પરંતુ તેણે ક્યાં કારણસર આપઘાતનો પ્રયાસ કર્યો તે અંગે કોઈ જાણકારી આપી ન હતી.
ઘટનાને પગલે ભરૂચ કન્ટ્રોલ રૂમ પર ફોન જતાં ભરૂચ એ ડિવિઝન પોલીસના સ્ટાફે સ્થળ પર પહોંચી સગીરાનો કબજો મેળવ્યો હતો. બાદમાં તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ જરૂરી સારવાર કરાવી હતી. બીજી તરફ ઘટના સ્થળ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતું હોઈ તેમને જાણ કરાતાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દોડી આવી બાળકીનું નિવેદન મેળવવાની કવાયત હાથ ધરી છે.
