જીએસઆરડીસીએ બ્રિજની કામગીરી વેળાં સોસાયટીની વરસાદી કાંસને નષ્ટ કરી નાંખી હોવાનો આક્ષેપ
ભરૂચ
ભરૂચના જંબુસર બાયપાસ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી અને ગટરના પાણી ભરાવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. જીએસઆરડીસી દ્વારા બનાવેલાં આવેલાં બ્રીજનું પાણી સોસાયટીઓમાં આવી રહ્યું હોવા સાથે બ્રીજની કામગીરીના કારણે સોસાયટીની વરસાદી કાંસની ગટર સંપુર્ણ પણે નષ્ટ થઇ ગઇ હોવાનો પણ આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. ત્યારે સોમવારે સ્થાનિક રહિશો તેમજ આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે.
ભરૂચ શહેરના જંબુસર બાયપાસ વિસ્તારમાં આવેલી આરઝૂ રેસિડન્સી, અરમાન બંગ્લોઝ, બાગે ફિરદોશ, જંબુસર બાયપાસ ચોકડી, બાલાજી માર્બલની બાજુમાં આવેલી સોસાયટીઓમાં ચોમાસાની મોસમમાં લોકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આરઝૂ અને અરમાન બન્ને સોસાયટીમાં જે તે સમયે જીએસઆરડીસીની ગટર લાઇન મંજૂર થઇ હતી. જોકે, હજી સુધી તે કામગીરી થઇ નથી. જીએસઆરડીસી દ્વારા બનાવાયેલાં બ્રીજની કામગીરી વેળાં વિસ્તારની વરસાદી પાણી અને ગટરના પાણીના નિકાલ માટેની કાંસ સંપૂર્ણ પણે નષ્ટ થઇ જતાં પાણીનો નિકાલ ન થવાથી સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ રહી છે. આ વિસ્તારમાાં 150થી 200 કરતાં પણ વધુ મકાનો આવેલાં છે. ત્યારે સોસાયટીમાં કેડસમાં પાણી ભરાવાથી બાળકોને શાળામાં આવવા – જવા સાથે નોકરિયાત વર્ગોને મુશ્કેલી પડે છે. આ સોસાયટીઓમાં કોઇને બિમારીના કારણે એમ્બ્યુલન્સની જરૂર પડે તો એમ્બયુલન્સ પણ સોસાયટીમાં આવી શકતી નથી. આ વિસ્તારની સોસાયટીઓ દ્વારા નિયમિત વેરો ભરવામાં આવે છે. પશ્વિમ વિસ્તારમાાં આવેલી સોસાયટીઓમાંથી નગર પાલિકા દ્વારા સૌથી વધુ મિલકત વેરો વસુલે છે. ત્યારે સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવે ત્યાં સુધી હંગામી ધોરણે પાણીનો નિકાલ થાય તેવી સુવિધા કરી આપવાની માગ સ્થાનિકોએ કરી છે.
