તમામ આરોગ્ય સંસ્થાઓમાં જરૂરી દવા, ઈક્વિપમેન્ટ અને ઈન્જેકશનનો પણ જથ્થો ઉપલબ્ધ રાખવા સહિતની તૈયારી હાથ ધરાઈ
ભરૂચ
ભરૂચ જિલ્લામાં ચોમાસામાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવો મચ્છરજન્ય રોગચાળો અટકાવવા આરોગ્યની ટીમો દ્વારા ફિલ્ડ કક્ષાએ પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી કક્ષાએ વિવિધ વિસ્તારોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે સ્ટેટ દ્વારા ફાળવવામાં આવેલ વેક્ટર કંટ્રોલ ટીમ પણ ઝુંબેશ કામ કરી રહી છે. તથા તમામ આરોગ્ય સંસ્થાઓમાં જરૂરી દવા, ઈક્વિપમેન્ટ અને ઈન્જેકશનનો પણ જથ્થો ઉપલબ્ધ રાખવા સહિતની તૈયારી હાથ ધરાઈ છે.
ચોમાસુ ૠતુના પ્રારંભ સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો નાથવા પંચાયતમાં નિયમિત કલોરીનેશન, ગામમાં જ્યાં ખાડા ભરાયા હોય ત્યાં એમ.એલ.ઓ અને બી.ટી.આઈ દવા છંટકાવ તથા ઘરે ઘરે ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે ક્લોરીન ટેબ્લેટનો વપરાશ કેવી રીતે કરવો તે પણ સમજાવવામાં આવ્યું હતું.

વિવિધ પ્રા.આ.કેન્દ્ર દ્વારા જુદા જુદા ગામોમાં જન જાગૃતિ શિબીરો યોજવામાં આવી રહી છે. જેમાં ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગોથી બચવા કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તે અંગે આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવ્યું, આ ઋતુમાં ઘરની આસપાસની સફાઈ, દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ તેમજ મચ્છરજન્ય રોગો અને તેના અટકાયતી પગલા વિશે ડેમોસ્ટ્રેશન સાથે સમુદાયોમાં જન જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. ખાસ કરીને અતિવૃષ્ટિ દરમ્યાન સગર્ભા માતા માટે સલામત ડિલિવરી થાય તે માટે અગાઉથી વ્યવસ્થાઓ ગોઠવી નજીકના સુરક્ષિત સ્થળે ખસેડવા માટે જરૂરી પગલા ભરવામાં આવ્યા હોવાનું સી.ડી.એચ.ઓ. એ જણાવ્યું હતું.
જિલ્લામાં કલોરીનેશન ડ્રાઈવ અંતર્ગત તમામ ગામોમાં પીવાનું પાણી પુરૂં પાડતા સ્ત્રોતોને માર્ગદર્શિકા મુજબ કલોરીનેશન તેમજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગૃહ મુલાકાતો દરમ્યાન છેવાડાનાં ઘરે કલોરીનની માત્રાની ચકાસણી કરવામાં આવી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જે.એસ.દુલેરાએ જણાવવામાં હતું.
