નિવૃત્ત જજની કમિટીની રચના કરી નિષ્પક્ષ તપાસ થાય તેવી માગ કરી
સાંસદ મનસુખ વસાવાના કોની કોની સંડોવણી છે તેની જાણ હોવાના નિવેદનને લઇ તેમને પુરાવા સામે મુકવા અનુરોધ
ભરૂચ.
ભરૂચ મનરેગા કૌભાંડના મુખ્ય સુત્રધાર એવા જુનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિરા જોટવા સહિત 6 જણાને પોલીસે ઝડપી તેમને સબજેલમાં ધકેલી દીધા છે. ત્યારે સાંસદ મનસુખ વસાવાએ આ મામલામાં તાજેતરમાં જ નિવેદન પત્ર આપ્યું છે કે, એજન્સીના માણસોએ તેમને મળીને આખે આખુ લીસ્ટ બતાવી ગયાં છે કે, કયા રાજકિય આગેવાનોને અને કયાં અધિકારીઓને કેટલાં રૂપિયા પહોંચાડ્યાં છે. અને તે લિસ્ટ તેમની પાસે છે. ત્યારે શુક્રવારે કોગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદિપ માંગરોલાએ એક ખાસ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાાં તેમણે જણાવ્યું હતું કે, સાંસદ મનસુખ વસાવાએ જે નિવેદન આપ્યું છે, તે ખુબ જ મહત્વનું છે તેમની પાસે જો આ લિસ્ટ હોય તો તેમણે પોલીસને તે લિસ્ટ આપવું જોઇએ જેથી કે, પોલીસને નિષ્પક્ષતાથી મામલામાં તપાસ કરવામાં સરળતાં પડે. ઉપરાંત પ્રેસ મિડિયામાં તેની જાહેરાત કરીને આવા કૌભાંડીઓને ખુલ્લા પાડો, ઉપરાંત મનરેગા કૌભાંડમાં રાજકિય માથાઓની સંડોવણી સામે આવી રહી છે ત્યારે મામલામાં નિષ્પક્ષ તપાસ થાય તે માટે એક સાંસદ તરીકે સરકારને એક પત્ર લખો, અને રજૂઆત કરો. બીજી તરફ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ટાંકીને પણ જણાવ્યું હતું કે, તેઓ આટઆટલીવાર મનરેગામાં થયેલાં ભ્રષ્ટાચારને લઇને સતત નિવેદનો આપી રહ્યાં છે. ત્યારે કૌભાંડમાં જે લેબર કમ્પોન્ટન્ટના કામોમાં મશીનોનો ઉપયોગ કરાયો છે તે મશીનો પણ તેમની પાર્ટીના જ મળતિાયાઓએ કરેલાં છે તો તેની પણ તપાસ થાય તો કરોડો રૂપિયાના થયેલાં ભ્રષ્ટાચાર ઉજાગર થાય તેમ છે. હાલમાં જે કૌભાંડ છે તેમાં પંચાયત મંત્રી ખુદ તેમાં ખરડાયેલાં છે તેમાના પુત્રો જેલમાં છે મોટા માથાઓ સંડોવાયેલાં છે ત્યારે પોલીસ નિષ્પક્ષ તપાસ કરી શકે તેમ નથી.જેથી નિવૃત્ત જજના વડપણ હેઠળ સીબીઆઇની તપાસ થવી જોઇએ અને સમગ્ર ગુજરાતમાં આ જે કૌભાંડ આપરવામાં આવ્યું છે તે બહાર આવવું જોઇએ.
તેમણે ઉમેર્યું છે કે, ભરૂચ એસપી અને રાજકિય આગેવાનો વચ્ચે કેવો ઘરોબો છે તે સૌ જાણે છે, એટલે જ આ તપાસ હવે આગળ નહીં વધે તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ભાજપના મોટા આગેવાનના ખાતામાં રૂપિયા આવ્યાં છે તેવી ભારે ચર્ચા ચાલી રહી છે. ત્યારે પોલીસે તપાસ પર પડદો નાંખી દીધો છે અને પોલીસની તપાસ નિષ્પક્ષ થવાની નથી. જેથી સીબીઆઇ તપાસ થાય તે જરૂરી છે.
