ભરૂચ જિલ્લામાં આવેલ જળાશયોમાં વ્યક્તિ કે પ્રવાસીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી
ભરૂચ – સોમવાર – ગૃહ વિભાગ, ગાંધીનગરનાં પત્રથી અત્રેનાં જિલ્લામાં આવેલ નદી, તળાવ, નહેર, દરીયા વગેરે જેવા જળાશયો સંદર્ભે જ્યાં જ્યાં અનિચ્છનીય ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલ હોય તેવા ભયજનક સ્થળોએ કોઈ પણ વ્યક્તિ/ પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો પ્રસિધ્ધ કરવા તેમજ આ હુકમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવેલ. આમુખ-૨ થી અત્રેનાં જિલ્લાનાં આ સાથે સામેલ પરિશિષ્ટ-૧ મુજબનાં જળાશયોમાં કોઈ પણ વ્યક્તિ/ પ્રવાસીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવા પોલીસ અધિક્ષકશ્રી, ભરૂચે અત્રે રજુઆત કરેલ છે.
જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ શ્રી ગૌરાંગ મકવાણા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ આ સાથે સામેલ પરિશિષ્ટ-૧ મુજબનાં તમામ 67 ભયજનક સ્થળો ઉપર કોઇ પણ વ્યક્તિઓ/પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે પ્રતિબંધ મુકવા આથી હુકમ કરુ છું.
અપવાદ:-
જાહેરનામામાંથી માછીમારી સાથે સંકળાયેલ લોકો તેમજ સરકારી ફરજ પર રોકાયેલ કર્મચારીઓને બાકાત રાખવામાં આવે છે.
શિક્ષા
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા,૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાનાં ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉતરતી કક્ષાનાં ન હોય તેવા પોલીસ ખાતાનાં કર્મચારીશ્રી/અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ ગૌરાંગ મકવાણા તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
