પ્રોટેકશન વોલ બનાવવામાં પાલિકાએ ભષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ
। ભરૂચ ।
ભરૂચ શહેરના મહંમદપુરાથી વેજલપુર તરફ જવાના રોડ ઉપર બી.ડીવીઝન પોલીસ સ્ટેશન પાસે આવેલા નન્નુમીયા નાળા પર તાજેતરમાં જ ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રોટેકશન વોલ બનાવવામાં આવી છે જો કે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે ઉપરાંત તેમણે આરોપ મુકયા છે કે, પ્રોટેક્શન વોલની કામગીરી જે પ્રકાર થઈ છે તેના કારણે ભવિષ્યમાં આ વિસ્તાર અકસ્માત ઝોન બનશે તેમજ ટ્રાફીકની સમસ્યા પણ વધશે.
ભરૂચ શહેર-જિલ્લામાં રોડ, રસ્તાથી લઈને અનેક પ્રશ્નો માઝા મુકી રહ્યા છે. ચોમાસાની શરૂઆત થતા જ શહેરના મહત્વના તમામ રસ્તાઓ ઉપર ખાડા પડી જતા લોકો પરેશાન થઈ ગયા છે. બીજી તરફ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થતા વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થતા હોવાના કારણે ટ્રાફીકની પણ મોટી સમસ્યા સર્જાઈ રહી છે. દરમ્યાનમાં ભરૂચ નગરપાલિકાએ મહંમદપુરાથી વેજલપુર તરફ જવાના રોડ પર આવેલા નન્નુમીયા નાળા પર પ્રોટેકશન વોલ બનાવવામાં આવી છે તે મુખ્ય રસ્તાથી દુર બની હોવાથી રોડ અને પ્રોટેકશન વોલ વચ્ચે મોટી જગ્યા પડી રહી છે બીજી તરફ રોડની કિનારીએ આવેલી પાળી વચ્ચોવચ્ચ આવી જવાના કારણે રાત્રિના સમયે કે બેધ્યાનપણે અકસ્માતનું કારણ બની શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ, ઈબ્રાહીમ કલકલ સહિતના આગેવાનો અને કાર્યકરોએ નન્નુમીયા ગરનાળા પર બેનર લગાવ્યુ છે જેમાં તેમણે લખ્યું છે કે, આ રસ્તો ભરૂચ નગરપાલિકાના અધિકારી, પદાધિકારીની અનઆવડતની નિશાની છે. બી.ડીવીઝન પોલીસ સ્ટેશન પાસેનું ગરનાળુ અકસ્માત થાય અને ટ્રાફીકજામ થાય તે પ્રમાણે બનાવવામાં આવ્યુ છે. ઉપરાંત તેમણે આક્ષેપ કર્યા હતા કે, પ્રોટેક્શન વોલ બનાવવા માટે પાલિકા દ્વારા ભષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટર દ્વારા પણ ધારાધોરણ મુજબની કામગીરી કરવામાં આવી નથી જેથી કોન્ટ્રાક્ટરનું લાયસન્સ કેન્સલ કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
