ભરૂચ.
પાલેજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાં તેમને બાતમી મળી હતી કે, વલણ ગામથી બાખડી વસુકી ગયેલી ભેંસોને વ્યારા તરફ કતલખાતે લઇ જનાર છે. જેના પગલે ટીમે વોચ ગોઠવી વલણ ફાટક વાળા રોડ પરથી એક ટ્રકને અટકાવી હતી. ટીમે ટ્રક ચાલકને પુછપરછ કરતાં તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતાં ટીમે ટ્રકમાં તપાસ કરતાં તેમાં 13 ભેંસ તેમજ 1 પાડો ભરેલો હોવાનું જણાયું હતું. તેમજ પશુઓ માટે ટ્રકમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. ઉપરાંત તમામ પશુઓને ટૂંકા દોરડાં વડે કૃરતા પુર્વક બાંધેલાં હોવાનું જણાયું હતું. ડ્રાઇવર ક્લિનરના નામઠામ પુછતાં ડ્રાઇવરનું નામ સુભાનખાન હકિમખાન ઠઠર (રહે. મોસાલી ગામ, તા. માંગરોલ, સુરત, મુળ રહે. બાડમેર, રાજસ્થાન) તેમજ ક્લિનરનું નામ સલીમ જમી આલીશર (રહે. મોસાલી ગામ, તા. માંગરોલ, સુરત. મુળ રહે. બાડમેર, રાજસ્થાન) હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તેમની પાસે પશુઓની હેરાફેરી માટે પરમીટની માંગણી કરતાં તેઓ પાસે કોઇ દસ્તાવેજ મળ્યાં ન હતાં. પશુઓ અંગેની પુછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે, વલણ ગામના ફૈયાઝ નામના શખ્સે તેમની ટ્રકમાં પશુઓ ભરી આપ્યાં હતાં. તેમજ જણાવ્યું હતે કે, વ્યારા ખાતે વહેલી સવારે પહોંચી જાય ત્યારે તેમના મોબાઇલ પર ફોન આવશે. જે બાદ તે પ્રમાણે આગળનો રૂટ નક્કી કરવાનો હતો. બનાવને પગલે પશુઘાતકીપણાની કલમો હેઠળ ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
