શખ્સને ઘરમાંથી ખેંચી જઈ માર માર્યો, પરિવારને મૃતદેહ મળ્યો
નબીપુર પોલીસે મામલામાં અકસ્માત મોતનો ગુનો નોંધતાં તર્કવિતર્ક
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં નિકોરા ગામે વિચિત્ર ઘટના બની હતી. એક પરિવાર ઘરમાં ગ્રહદશાના નિવારણ માટે તાંત્રિક વિધી કરી ર હતી. તે વેળાં તેમના જ કુટુંબીજનોને તેઓ પર ભુવો બોલાવી તાંત્રિક વિધી કરતાં હોવાની શંકા જતાં તેમના ઘરે આવી ધમાલ કરી હતી. તેમજ શખ્સને ખેંચીને રોડ પર લઈ જઈ માર માર્યો હતો. દરમિયાનમાં તેનું મોત નીપજયું હતું ઘટનાને પગલે પરિવારજનોએ હત્યાના આક્ષેપ કર્યાં હતાં. જોકે, પોલીસે પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલાં નિકોરા ગામે રહેતાં ધનીબેન તેમજ તેમના પતિ ઈશ્વર ભયજી માછીપટેલને એક તાંત્રિકે તેમને કોઈ ગ્રહદોશ હોઈ તાંત્રિક વિધી કરવી પડશે તેમ જણાવતાં તેઓએ એક તાંત્રિક(ભુવા) પાસે પોતાના ઘરમાં તાંત્રિક વિધી કરવાની કવાયત શરૂ કરી હતી. દરમિયાનમાં તેમના ઘરની આસપાસમાં જ રહેતાં તેમના કુટુંબીજનોને તે અંગે જાણ થતાં દંપતિ તેમના વિરૂધ્ધ કોઈ વિધી કરાવતું હોવાની આશંકાએ તેમના ઘરે આવી હંગામો મચાવ્યો હતો. તેઓએ ઈશ્વર ભયજી માછીપટેલને ઘસડીને ઘરની બહાર લઈ જઈ રોડ પર તેને માર માર્યો હતો. જેમાં તેમને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમણે તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની કવાયત હાથ ધરી હતી. જોકે, ઘટનામાં તેમનું મોત થયું હોવાનું માલુમ પડયું હતું. ઘટનાની જાણ થતાં નબીપુર પોલીસના કાફલાએ દોડી આવી મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવને લઈને નબીપુર પોલીસે પ્રાથમિક તબક્કે હત્યાની ફરિયાદ નોંધવાને બદલે અકસ્માતનો ગુનો નોંધી મૃતકનું તબીબોની પેનલથી પોસ્ટમ કરાવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનાના આધારે તપાસ શરૂ કરી છે.
અમે વિધી કરતાં હતાં ને તેઓએ મારા પતિને ખેંચીને લઈ ગયાં અમારા ઘરમાં ગ્રહોની વિધી માટે તાંત્રિકને બોલાવીને અમે વિધી કરાવી રહ્યાં હતાં. તે વેળાં મહેશ તેમજ તેની વહુએ અમારા ઘરે આવી ધમાલ કરી મારા પતિને ખેંચીને રોડ તરફ લઈ ગયાં હતાં. તેમની સાથે કાંતા ગણપત, સતિશ રમેશ, રાહુલ રમેશ, ધની રમેશ, મંગી દિલીપ, રાજેશ દિલીપ તેમજ જગદિશ ભયલાલે મળી મારા પતિને મારતાં તેમના માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું. >> ધનીબેન ઈશ્વર માછીપટેલ, મૃતકની પત્ની.
અમને કાયદાકિય ન્યાય મળે, કસુરવારોને નિમાનુસાર દંડ થાય હું છેલ્લા ચારેક વર્ષાથી મારી બહેનના ઘરે રહું છું. દરમિયાનમાં મારા ભાઈનો મને ફોન આવ્યો હતો કે, પપ્પાને માર માર્યો છે અને તેમને બહુ વાગ્યું છે. તેથી તેમને દવાખાને લઈ જવાના છે. જેથી હું તુરંત ઘરે આવી ગયો હતો. જયાં માતાએ મને તમામ હકિકત જણાવી હતી. મારા પિતાના માથામાં ગંભીર ઈજાઓ થઈ હોઈ તેમનું સ્થળ પર જ મોત થયું હતું.>> કનુ ઈશ્વર માછીપટેલ, મૃતકનો પુત્ર.
તબીબની પેનલ થકી પોસ્ટમોર્ટમ કરાવ્યુ છે મૃતકનો દેહ રોડ પરથી મળી આવ્યો હતો. તેમના માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું. જોકે, તેમને માથામાં કોઈએ મારતા કોઈએ જોયું ન હતું. એટલે ઘટનામાં અમે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. મૃતકનું પોસ્ટમોર્ટમ અમે પેનલ તબીબથી કરાવ્યું છે. તેનો રિપોર્ટ આવ્યાં બાદ તેના આધારે અમે આગળની કાર્યવાહી કરીશું. >>આર. કે. દેસાઈ, પીઆઈ, નબીપુર પોલીસ સ્ટેશન.
