છેલ્લા બે વર્ષથી મહાસંઘ દ્વારા માંગણીઓ કરાઈ રહી છે પરંતુ નિરાકરણ આવ્યું નથી
। ભરૂચ ।
ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરની આંગણવાડી બહેનોના પ્રાણ પ્રશ્નોનું બે વર્ષથી કોઈ નિરાકરણ નહીં આવતાં હવે આંગણવાડીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો કરવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે આગામી ૪ ઓગષ્ટના રોજ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્ર થઈ રેલી અને જાહેર સભા કરશે.
ભરૂચ જિલ્લાની આંગણવાડી બહેનો સહિતની રાજ્યભરની આંગણવાડી બહેનો દ્વારા છેલ્લા બે વર્ષથી કેટલીક ચોક્કસ માંગણીઓ કરવામાં આવી રહી છે. જેમાં આંગણવાડી બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવી, MMYનો સ્ટોક આંગણવાડી કેન્દ્ર પર જ પહોંચાડવો, છેલ્લા ચાર વર્ષથી બહેનો પોતાના ખર્ચે સ્ટોક ઉપાડે છે. તેનું મહેનતાણું ચુકવવું. FRSમાં પડતી તમામ મુશ્કેલીઓ દૂર કરવી, ગુજરાતની વડી અદાલતના ચુકાદાનો અમલ કરવો, સ્માર્ટ મોબાઈલ તાત્કાલિક પુરા પાડવા, ઉમરના બાદ વિના આંગણવાડી બહેનોને બઢતી આપવી, વર્કર હેલ્પરની ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવી, નાસ્તાના ખર્ચમાં વધારો કરવો અને પરીપત્રો મુજબ એડવાન્સમાં જમા કરાવવાની રકમ એડવાન્સમાં જ આપવી, ઈન્સેન્ટીવની રકમ ધણા સમયથી બાકી છે તે તાત્કાલિક ચકવવામાં આવે તે સહિતની તેમની માગણીઓની રાજ્ય સરકારના તમામ સ્તરના જવાબદાર અધિકારીઓ સામે સમક્ષ તેમણે રજૂઆતો કરવા છતાં હજી સુધી માત્ર અશ્વાસન જ મળ્યાં છે પરંતુ તેમના પ્રશ્નોના સમાધાન માટે કોઈ પગલાં ભરાયાં નથી. જેના પગલે તાજેતરમાં જ ૧૨-૧૩ જૂલાઈના રોજ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશની કાર્યસમિતીમાં ખાસ ચર્ચા થઈ હતી. જેમાં આંગણવાડી બહેનોના પ્રાણ પ્રશ્નોને લઈને ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં આગામી ૪ ઓગષ્ટના રોડ બપોરના ૧૨થી ૪ વાગ્યા સુધી રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. જેમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો એકત્ર થશે અને પોતાના પ્રાણ પશ્નોની રજૂઆત કરશે.
