વિપક્ષ નેતાની ઉપસ્થિતિમાં મહિલાઓએ અધિકારી સામે ઉગ્ર રજુઆત કરી
સમસાદ અલી સૈયદે અધિકારીઓને પ્રજાની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા ચીમકી ઉચ્ચારી
ભરૂચ
ભરૂચ શહેરના વોર્ડ નં. 9 અને 10ના વેજલપુર, પારસીવાડ, દલાલ સ્ટ્રીટ, ફુર્જા રોડ અને નારીયેલી બજાર સહિતના વિસ્તારમાં પાણી વિના પ્રજા ને પારાવાર મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે. છેલ્લા ૧૫ દિવસથી પાણી નહિ મળતા મહિલાઓની હાલત કફોડી બનવા પામી છે. નગરપાલિકા દ્વારા પુરવઠો બંધ હોવાને કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વારંવાર ની રજૂઆતો કરવા છતાંયે નગરપાલિકા ના જવાબદાર અધિકારીઓએ ધ્યાન નહિ આપતા મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે પહોંચીને પ્રશાસન સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ બાબતે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ પણ મહિલાઓ સાથે જોડાઈ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિને તેમજ પાણી અને લાઈટ વિભાગના અધિકારીને રજૂઆત કરી હતી.
સ્થાનિક મહિલાઓએ જણાવ્યુ હતુ કે આ પહેલા સ્ટ્રીટ લાઇટના મુદ્દે અનેકવાર ફરિયાદો કરવા છતાં ત્રણ મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ પડી છે. હવે પાણીની સમસ્યાએ રહેવાસીઓના ધૈર્યનો કસોટી લીધી છે.
અધ્યક્ષ પ્રજાપતિએ મહિલાઓને સાત્વના આપતા કહ્યુ કે, “આ સમસ્યાનું નિરાકરણ લાવવા મેં અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક પગલા લેવા સૂચના આપી છે.જો ત્રણ દિવસમાં પાણી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યા હલ નહીં થાય તો ફરી સંપર્ક કરો.”સ્થાનિકોમાં હજુ પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ માટે સતત રજૂઆતો કરવા છતા કાર્યવાહી કેમ થતી નથી.
સ્થાનિકોની પ્રાથમિક જરૂરિયાત પાણી ની સમસ્યા નહિ દૂર કરતા નગરપાલિકાના અધિકારીઓને વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદે આડે હાથ લીધા હતા. અને પ્રજાની સમસ્યાઓનો ત્વરિત નિકાલ કરવા જણાવ્યુ હતુ. જો સમસ્યા નું સમાધાન નહિ કરવામાં આવે તો નગરપાલિકા માં પાણી બંધ કરવાની ફરજ પડશે ની ચીમકી ઉચ્ચારી હતી.
