ભરૂચ.
ભરૂચ જિલ્લામાં હાંસોટ, આમોદ અને જંબુસર તાલુકામાં વેરાવળની જલારામ એન્ટપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની બે એજન્સીઓ દ્વારા 7.30 કરોડનું મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના થઇ હતી. એ ડિવિઝન પીઆઇ આર. એમ. વસાવાએ તપાસ દરમિયાન જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હિરા જોટવા તેમજ તેમના પુત્ર દિગ્વિજય તેમજ બન્ને એજન્સીઓન પ્રોપરાઇટર પિયુશ નુકાણી અને જોધા સભાડ સહિત 6 આરોપીઓને પહેલાં ઝડપી પાડ્યાં હતાં. તેમના રિમાન્ડ પૂર્ણ થતાં તેઓ હાલમાં સબજેલમાં છે. ત્યારે હિરા જોટવા અને તેમના પુત્રએ તાજેતરમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જેમાં કોર્ટમાં સુનાવણી થયાં બાદ તેમના જામીન નામંજૂર રહ્યાં હતાં. દરમિયાનમાં પોલીસે તપાસનો દોર જારી રાખતાં તેમાં અન્ય ચાર આરોપીની સંડોવણી હોઇ તેમની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા સોયેબ મહંમદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામનો સમાવેશ થાય છે.ઉપરાંત,નિવૃત્ત ટીડીઓ મહેશ પરમાર અને હાલમાં નેત્રંગમાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા મહંમદ સહલ ઈસ્માઈલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. બોગસ બિલો બનાવવા સાથે કામો પૂર્ણ ન થયાં હોવા છતાં પૂર્ણતાના રિપોર્ટ બનાવવા સહિત મનરેગાના નિયમ મુજબ 60::40નો રેશિયો જાળવ્યો ન હોવાનું જાણતાં હોવા છતાં એજન્સીઓના બિલ પાસ થયેલાં છે. ત્યારે તેમની ચારેયની ભુમિકાને લઇને પોલીસે તેમની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
