ઝડપાયેલાં ચારેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં જિલ્લા જેલમાં ધકેલાયાં
। ભરૂચ।
ભરૂચ જિલ્લાના આમોદ, હાંસોટ અને જંબુસર તાલુકામાં મનરેગાના કામોમાં થયેલી ૭.૩૦ કરોડની ખાયકીમાં ઝડપાયેલાં જૂનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હિરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય સહિત અત્યાર સુધીમાં ૧૦ આરોપીઓ પોલીસ સકંજામાં આવ્યાં છે. તાજેતરમાં એક નિવૃત્ત ટીડીઓ સહિત બે ટીડીઓ તેમજ બે ટેક્નિકલ આસિસ્ટન્ટની ધરપકડ કરી હતી. તેમના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ચારેયને સબજેલમાં ધકેલી દેવાયાં હતાં. બીજી તરફ હિરા જોટવાની જામીન માટેની બીજી અરજીની સુનાવણી પહેલાં તેમણે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતાં તેમને વડોદરાની સવાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
ભરૂચ જિલ્લામાં આવેલાં આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલાં કામોમાં વેરાવળની મુરલીધર ઍન્ટર પાઈઝ અને જલારામ એન્ટરપ્રાઈઝ નામની બે એજન્સીઓ થકી જૂનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હિરા જોટવા અને તેના મળતિયાઓએ ૭.૩૦ કરોડનું કૌભાંડ આચર્યું હતું. જેની તપાસ ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમે હાથ ધરતાં હિરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય સહિત 6 જણાને અગાઉ ઝડપી પાડયાં હતાં. તપાસ દરમિયાનમાં અન્ય આરોપીઓની સંડોવણી સામે આવતાં ને પૈકીના નિવૃત્ત ટીડીઓ મહેશ પરમાર, નેત્રંગ ટીડીઓ મહમદ સોહેલ ઈસ્માઈલ પટેલ તેમજ બે ટેક્નિકલ આસિસ્ટન્ટ સોયેબ મહમદ પુસુફ અને હરેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરી તેમના એક દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. તેમના નિવેદનો તેમજ અન્ય લોકોની સંડોવણીને લઈને ચોક્કસ વિગતો પોલીસે એકત્ર કરી હતી. તેમના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને સબજેલમાં ધકેલી દેવાયાં હતાં. નોંધનિય છે કે, હિરા જોટવાએ તેમની ઉંમર તેમજ તબિયતને લઈને પુનઃ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જેની સુનાવણી થવાની હતી તે પહેલાં જ તેમની છાતીમાં દુઃખાવાની ફરિયાદ કરતાં તેમને વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જોકે, કોર્ટમાં બન્ને પક્ષની સુનાવણી થઈ ગઈ છે. પરંતુ હજી તેનો હુકમ કોર્ટ કર્યો નથી.
સબજેલમાંથી નિકળવા બિમારીના બહાના કરતાં હોવાની ચર્ચા મનરેગા કૌભાંડના માસ્ટર માઈન્ડ એવા હિરા જોટવા અને તેમના પુત્રને હાલમાં સમજેલમાં ધકેલી દેવાયાં છે. ત્યારે તેઓએ અગાઉ જામીન અરજી મુકી હતી. જોકે, કોર્ટે તે ફગાવી દીધી હતી. બાદમાં હિરા જોટવાએ બીમારી અને વયને લઈને પુનઃ જામીન અરજી મુકી હતી. જેની સુનાવણી ૨૪મીએ થનાર હતી. નોંધનિય છે કે, પોલીસ સકંજામાં આવ્યા બાદ તેમના જ દિવસના રિમાન્ડ મળ્યાં હતાં. ત્યારે તેમણે છાતીમાં દુ:ખાવાની કેફિયત કરી હતી જોકે, સામાન્ય દવા બાદ તેમની તબિયત સારી થઈ હતી. હવે પુન: જામીન અરજી વેળાં તેમણે તે જ કેફિયત રજૂ કરતાં તર્કવિતર્ક સર્જાયા છે. સબજેલમાં રહેવું ન પડે તે માટે તેઓ ખોટા બહાના કરી રહ્યાં હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
તત્કાલિન ડીડીઓ સહિતના અધિકારીઓના નિવેદન હજી બાકી સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, અગાઉ ઝડપાયેલાં અને હાલમાં ઝડપાયેલાં આરોપીઓ પૈકીના કેટલાંક જણાએ એવું નિવેદન આપ્યું છે કે, કામ થયું ન હોય તેમ છતાં તે કામના બીલો પાસ કરાવવા માટે તત્કાલિત ડીડીઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હતું. જોકે, કર્મચારીઓના નિવેદનોની તથ્યતા તપાસવા સહિતના કામે તત્કાલિન ડીડીઓ સહિતના કેટલાંક અધિકારીઓના નિવેદનો લેવાના બાકી હોવાનું તેમજ તત્કાલિન ડીડીઓ પર સકંજો કસાય તેવી શક્યતાઓ હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
