અમદાવાદ એનઆઈએની સ્પેશિયલ કોર્ટે હુકમ કરતાં એનઆઈએની ટીમના ભરૂચમાં ધામા
વર્ષ ૨૦૧૫માં બનેલી ઘટના ૧૦ વર્ષ બાદ પુન: લોકોના માનસપટલ પર જીવંત થઈ
ભરૂચ.
ભરૂચમાં વર્ષ ૨૦૧૫માં અંડરવર્લ્ડની દોરવણીથી આરએસએસ નેતા અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરિષ બંગાળી તેમજ પ્રજ્ઞેશ મિસ્ત્રીની ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર જિલ્લા સહિત રાજ્યને હચમચાવી દીધું હતું. જેમાં ભરૂચના યુનુસ માંજરા સહિત 11 જેટલાં આરોપીઓને એનખાઈએની ટીમે ઝડપી પાડયાં હતાં. મામલામાં શુકવારે એનઆઈએની ટીમે ભરૂચમાં ધામા નાંખી યુનુસ માંજરાની બે મિલકતો ટાંચમાં થઈ સીલ કરી હતી. એનઆઈએની ટીમે ભરૂચમાં ધામા નાંખ્યા હોવાની વાતથી શહેરભરમાં ભારે ચર્ચા જાગી હતી.
ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી તેમજ ભાજપના યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની શિરીષ બંગાળીના પ્રિન્ટીંગ પ્રેસમાં ગોળી મારી ડબલ મર્ડરની ઘટના વર્ષ ૨૦૧૫માં બની હતી. મામલાની તપાસ દરમિયાનમાં સાઉથ આફ્રિકાથી જાવેદ ચિકનાએ સિરીષ બંગાળી સહિત ૪ જણાની હત્યા કરવાની ૫૦ લાખ રૂપિયાની સોપારી આપી હોવાનું ખુલ્યું હતું. એટીએસ અને એનઆઈએની તપાસમાં જેતે સમયે બહાર આવ્યું હતું કે, જાવેદ ચિકનાએ મુસ્લીમ વિરોધી ૪ લોકોના નામો ભરૂચના કુખ્યાત યુનુસ માંજરા પાસે માંગ્યા હતાં. જોકે, યુનુસ તે સમયે જુગારનો મોટ અડ્ડો ચલાવતો હોઈ તેમજ તે અડ્ડાને બંધ કરાવનારા અને તેની સાથે અંગત દુશ્મનાવટ ધરાવતા શિરીષ બંગાળી, જયકર મહારાજ, પ્રકાશ મોદી તેમજ વિરલ દેસાઈ તેના અંગત દુશ્મન હોઈ તેણે તેમના નામ જાવેદ ચીકવાને આપ્યાં હતા. જે તે સમયે એનઆઈએ. એટીએસએ ૧૧ આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરી હતી. જેમાં એક હજી પણ વોન્ટેડ છે. જ્યારે એક આરોપીનું મોત થયું છે. ભરૂચના આ ચકચારી ડબલ મર્ડર કેસમાં એનઆઈએની ટીમે શુકવારે મોટી કાર્યવાહી કરી હતી. ટીમે આ કેસના મુખ્ય આરોપી એવા યુનુસ શેખ ઉર્ફે માંજરોની બે મિલકતો સીલ કરી હતી.
અમદાવાદ એનઆઈએની વિશેષ કોર્ટે આદેશ કરી તેની મિલકતો સીલ કરવા કહેતાં શુક્રવારે એનઆઈએની ટીમે ભરૂચમાં ધામા નાંખ્યા હતાં. તેમજ સ્થાનિક પોલીસને સાથે રાખી ભરૂચની વોર્ડ નંબર ૩માં આવેલી સીટી સર્વે ન. ૩૬૧૪ પૈકીની ૧૪૩.૯૬ સ્કવેર મીટરની એક અને વોર્ડ નંબર ૩માં જ સર્વે નં. ૩૬૧૫ પૈકીની ૨૯.૫૯ સ્કવેર મીટરની એક એમ કુલ બે મિલકતો પર સીલ મારી હતી.
NIA ની ટીમે આવી મારા ભાઈની મિલકતને સીલ મારી છે કોર્ટે મારા મોટા ભાઈ યુનુસ માંજરાની મિલ્કત પર સ્ટે મુકયો છે જે અમે વહેચી નથી શકતા. એનઆઈએની ટીમે આવી તે બાબતનું બોર્ડ લગાવ્યુ છે. એનઆઈએની ટીમે જે કામગીરી કરી છે તેમાં અમને કોઈ વાંધો નથી. - મહમદહારૂન શેખ, યુનુસ માંજરાનો નાનો ભાઈ.
