ભરૂચ
વિશ્વમૈત્રી દિવસ ના ભાગ રૂપે અહી કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં ભારતી વિદ્યામંદિર શાળાના બાળકોએ પુસ્તક મિત્ર જ્યાં રહે છે તેવા પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પુસ્તકાલય તરફથી બાળમિત્રોને એમની સાથે મિત્રતા નિભાવી શકે એવા પુસ્તકની ભેટ આપી હતી.
ગ્રંથપાલે બાળકોને સંબોધતા જણાવ્યું કે આપણા જીવન દરમિયાન ઘણા બધા મિત્રો / બેનપણીઓ આવશે પણ આ બધામાં તમને શાળાકાળના મિત્રોએ આજીવન યાદ રહેશે. કેમ કે શાળાકાળની મિત્રતાએ એ નિશ્વાર્થભાવમાં નિર્માણ પામતી હોય છે છોડની જેમ ધીમે ધીમે ઉગતી હોય છે અને જયારે શાળા છોડવાનો સમય આવે ત્યારે એ મિત્રતાનો છોડ ખાસો એવો પરિપક્વ થઇ ગયેલો હોય છે અને શાળાકાલની મિત્રતા આપણને આજીવન યાદ રહે છે.
જેમ જેમ આપણી વય વધતી જશે તેમ તેમ મિત્રતામાં ઉમેરો કે ઘટાડો થતો રહેશે. એવું પણ બને કે કોલેજકાળમાં પણ સારા મિત્રો મળી જાય પણ એ વેળાએ નિર્માણ પામેલી મિત્રતામાં ક્યાંક સ્વાર્થ અને અપેક્ષા સમાયેલી હોય છે જે ન સંતોષાય તો મિત્રતા તૂટવાની સંભાવના પણ એટલી જે રહે છે.
બાળકોને મિત્રતાનો ભાવાર્થ અને ખરો અનુભવ કેવો હોય છે એ અનુભવવા કહેવામાં આવ્યું. મિત્રતાનો દરેકનો અનુભવ અલગ અલગ અને અનોખો હોવાનો. કોઈ મિત્ર પજવણીના સંદર્ભમાં યાદ આવે, કોઈ મદદના સંદર્ભમાં તો કોઈ સાવ ચુપ રહેતો હોય એવા મિત્રો પણ યાદ આવે. પણ એટલું પાક્કું કે જેવો હોય તેવો જીવનમાં એક ખાસ મિત્ર તો હોવો જ જોઈએ. છેવટે કોઈ ના હોય તો પુસ્તકને પણ મિત્ર બનાવી મિત્રતાનો આનંદ લેતા રહેવું જોઈએ.
મૈત્રી દિવસ તો રોજે રોજ ઉજવાતો હોય છે એને ઊજવવા માટે કોઈ ચોક્કસ દિવસ નથી હોતો અને નથી હોવાનો. અચાનક મિત્રની યાદ આવે અને તમે એને મળવા પહોંચી જાવ એવું પણ બને અને હવેના સમયમાં એને ફોન કરી વાતો કરો એવું પણ બને. પણ જેમ બને તેમ મિત્ર સાથે સંપર્ક જાળવી રાખવો એ જીવનની એક સારી ટેવ છે જે સૌએ કેળવવી જોઈએ !
આપણ ખભે બંદુક મૂકી અન્ય પર પ્રહાર કરનારા નહિ પણ આપણા ખભા સાથે ખભો મિલાવી ઢાલ જેવું પીઠબળ બને એવા મિત્રો સૌને મળે એવી પ્રાર્થના.
મિત્રતામાં કોઈ ગણતરીને સ્થાન નથી હોતું પણ ગણી શકાય એટલા ખાસ મિત્રોતો હોવા જ જોઈએ !
શાળાના શિક્ષક શ્રી શાંતિલાલ પ્રજાપતિજીએ બાળકોને પુસ્તકો ભેટ આપવા બદલ લાયબ્રેરીના સંસ્થાપક શ્રી ગૌતમભાઈ ચોકસી અને શ્રી મનનભાઈ ચોકસી પ્રત્યે શાળા વતી આભાર વ્યક્ત કર્યો હતો.
