ડોક્ટરી તપાસ બાદ મગરને અનુકૂળ વાતાવરણમાં મૂકવામાં આવી
ભરૂચ
શુકલતીર્થના આંબાવાડી વિસ્તારમાં આવેલા એક તળાવમાં બુધવારના રોજ એક જીવંત મગર જોવા મળતાં સ્થાનિક રહીશો ગભરાઈ ગયા. તાત્કાલિક રીતે રહેવાસી પરેશભાઈ પટેલે આ માહિતી વનવિભાગને આપતા, આરએફઓ શ્રી ડાભી સાહેબ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા. સાથે જ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો ધવલ માટોર કર અને યોગેશભાઈ તેની આગેવાની હેઠળની ટીમ તથા દિવ્યેશ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વનવિભાગના માર્ગદર્શન હેઠળ તળાવ પાસે પીજરું મુકવામાં આવ્યું હતું, જેમાં મગરને ધ્યાનપૂર્વક અને સલામતી સાથે પકડવામાં આવ્યો. ત્યારબાદ તેને વનવિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો.આ મગરની ડોક્ટરી તપાસ કરવામાં આવી, જેમાં તેની તબિયત સારી હોવાનું નિદાન થતાં, વનવિભાગ દ્વારા તેને અનુકૂળ પ્રાકૃતિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે એવી માહિતી મળેલી છે.આ ઘટનાથી સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી છે તથા વનવિભાગ અને નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી રહી છે.
