વાગરાના વડદલા ગામે સેન્ટ્રોસા સોસાયટીની ઘટના
ભરૂચ.
વાગરા તાલુકાના વડદલા ગામે આવેલી સેન્ટ્રોસા સોસાયટીમાં રહેતા મનોજકુમાર દાસ વાઇબ્રન્ટ કેમ કંપનીમાં નોકરી કરે છે. તેમના ત્રણ સંતાન છે. જેમાં મોટો 9 વર્ષનો આશિષ તેનાથી નાની 6 વર્ષની બીક્કી તેમજ તેનાથી નાનો દોઢ વર્ષનો મોનુકુમાાર છે. તેમની પત્ની છેલ્લાં ત્રણેક દિવસથી નોકરીએ જાય છે. દરમિયાનમાં ગઇકાલે મનોજકુમાર નોકરી પુરી કરી સવારે ઘરે આવ્યાં હતાં. જ્યારે તેમની પત્ની કામે જતી રહી હતી. તેઓ નાઇટ શિફ્ટ કરી સુઇ ગયાં હોઇ તેમના ત્રણેય સંતાનો ઘરની બહાાર શેરીમાં રમતાં હતાં. દરમિયાનમાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં બુમાબુમ સંભળાતાં તેઓ તુરંત ઘરની બહાર જઇને જોતાં તેઓ આઘાતમાં સરી પડ્યાં હતાં. તેમના પાડોશમાં રહેતી અરૂણાબેને તેની કાર રિવર્સમાં લેતી વેળાં તેમના દોઢ વર્ષના પુત્ર મોનુકુમાર પર કાર ચઢાવી દેતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે જોલવાના દવાખાના બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
