ભરૂચ તાલુકાના ગામે આવેલાં પોલટ્રીફાર્મમાં પોલીસે દરોડો પાડ્યો
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં કેલોદ ગામની સીમમાં મેલડી માતાના મંદિર પાસે આવેલાં બસીર અહેમદ પટેલ (રહે. કોંઢ, અંક્લેશ્વર) ના કબ્જા ભોગવટાના પોલ્ટ્રી ફાર્મમાં ખેતરની જગ્યામાં ગેરકાયદે રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની ચોક્કસ બાતમી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને મળી હતી. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલ્ટ્રીફાર્મમાં એક શખ્સ હાજર હોઇ તેની પુછપરછ કરતાં તેનું નામ અરવિંદ સાહબસિંગ ગૌડ (હાલ રહે. કેલોદ, મુળ રહે. મધ્યપ્રદેશ) હોવાનું માલુમ પડ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, તે તે મહિને 20 હજારના પગાર પર પોલ્ટ્રીફાર્મ-ખેતરની રખેવાળી કરે છે.ટીમે તેને સાથે રાખી ફાર્માં આવેલાં ખેતરમાં તપાસ કરતાં તેમાં તુવેરના પાકમાં છુટાછવાયાં શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થના લીલા છોડ હોવાનું જણાયું હતું. જે બાબતે તેમણે અરવિંદને પુછતાં તેણે કબુલ્યું હતું કે, તે ત્રણથી ચાર મહિના પહેલાં તે પોલ્ટ્રીફાર્મમાં દેખરેખની મજૂરી માટે આવ્યો હતો. તે પહેલાંથી જ ત્યાં ગાંજાના છોડ વાવેલાં હતાં. તેના પહેલાં ત્યાં કિરણ ભગત નામનો વ્યક્તિ રહેતો હતો. પોલીસે પ્રાથમિક તબક્કે અરવિંદ ગૌડની ધરપકડ કરી ટીમે કુલ 1.69 લાખથી વધુનો ગાંજાના છોડનો જથ્થો જપ્ત કર્યો હતો.ટીમે અરવિંદ ગૌડ તેમજ પોલ્ટ્રી ફોર્મના સંચાલક બસીર અહેમદ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીછે.
પોલ્ટ્રીફાર્મમાં ગાંજાનો છોડ વાવનાર શખ્સ ઝબ્બે 1.69 લાખનો મુદ્દામાલ જપ્ત
Advertisement
