પાંચ ફૂટની પ્રતિમાઓને કુત્રિમ કુંડમાં, મોટી મુર્તિઓનું ભાડભૂત ખાતે વિસર્જન કરાશે
। ભરૂચ ।
ભરૂચ શહેર જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધૂમથી થઈ રહેલી ઉજવણી વચ્ચે કેટલાંક લોકો પાંચમા કે સાતમાં દિવસે જ ગણેશ વિસર્જન કરતાં હોય છે. જેના પગલે ભરૂચ નગરપાલિકા દ્વારા જેબી મોદી પાર્ક ખાતે કૃત્રિમ કુંડ બનાવવામાં આવી રહ્યો છે. ઉપરાંત ૧૦માં દિવસે વિસર્જન માટે જેબી મોદી પાર્ક પાસે બીજો એક મોટા કુંડ બનાવવામાં આવશે. સાથે સાથે શહેરના મક્તમપુર ખાતે જેટકો સબસ્ટેશન પાસે તેમજ ઝાડેશ્વરમાં ગાયત્રી મંદિર પાસે કૃત્રિમ કુંડ બનાવવામાં આવશે.
ભરૂચ શહેર જિલ્લામાં હાલમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ભક્તો શ્રીજીની ભક્તિમાં લીન થઈ રહ્યાં છે. મોટાભાગના યુવા મંડળો દ્વારા ૧૦ દિવસ સુધી શ્રીજીની અરાધના કરી અનંત ચૌદશે ગણેશની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. જોકે, કેટલાંક મંડળો તેમજ ઘરમાં સ્થાપના કરનારા કેટલાંક ધર્મપ્રિય પરિવારો પાંચમા કે સાતમાં દિવસે પણ શ્રીજીનું વિસર્જન કરતાં હોય છે. સરકાર દ્વારા નદીઓમાં પીઓપીની પ્રતિમાઓના વિસર્જન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી કે નદીઓમાં પ્રદુષણ ન થાય અને જળચળ સૃષ્ટીને કોઈ નુકસાન ન થાય. ત્યારે સરકારના આદેશને લઈને શહેર જિલ્લામાં વહિવટી તંત્ર દ્વારા કુત્રિમ કુંડમાં જ ગણેશ વિસર્જન કરવામાં આવે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરુપે ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઈને ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષની જેમ ૫ માં દિવસે અને સાતમા દિવસે થનારા વિસર્જન માટે ભરૂચ શહેરના ત્રિમુતી હોલ નજીક આવેલાં જેબી મોદી પાર્ક પાસે હાલમાં ૨.૫૦ લાખ લીટરની ક્ષમતા ધરાવતાં કુંડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે ૧૦માં દિવસે થનારા વિસર્જન માટે જેબી મોદી પાર્ક પાસે જ બીજો એક કુંડ બનાવાશે સાથે સાથે મક્તમપુર ગામ જેટકો સબ સ્ટેશન પાસે એક કુંડ બનાવાશે અને ઝાડેશ્વર ગામે ગાયત્રી મંદિર પાસે એક કુંડ બનાવાશે. જેમાં દશમાં દિવસે ૫ ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે.
લોકો કૃત્રિમ કુંડમાં જ વિસર્જન કરે તેવી અપીલ છે નર્મદા નદીમાં હાલમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે નદીના જળસ્તરમાં વધારો થવાની સંભાવના છે. બીજી તરફ સરકારે પણ નદીમાં વિસર્જન પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે નદીમાં વિસર્જન કરવા જતી વેળાં દુર્ઘટના થવાની શક્યતાઓ નકારી શકાય નથી. જેથી દરેક ગણેશ મંડળોએ તેમની ૫ ફૂટથી નાની શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં જ વિસર્જન કરવામાં આવે તેવું જરૂરી છે. - હરેશ અગવાલ, સીઓ, નગરપાલિકા, ભરૂચ.
વિસર્જનમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તાકીદ શહેર જિલ્લામાં દુંદાળા દેવની અરાધનાનો માહોલ જામ્યો છે. દશ દિવસ સુધી શ્રીજી ભક્તિમાં લીન થઈ જતાં હોય છે.જોકે, કેટલાંક કિસ્સાઓમાં વ્યસની લોકો દ્વારા ભક્તિમય માહોલમાં ભંગ પહોંચાડવામાં આવે છે. તેમાંય વિસર્જનના ટાણે વ્યસન કરીને શોભાયાત્રામાં નિકળી ઉશ્કેરણીભર્યું વર્તન કરતાં હોય છે. ત્યારે ધાર્મિક તહેવાર સુલેહ-શાંતિભર્યા માહોલમાં અને નિર્વિઘ્ને પુર્ણ થાય તેવી માંગ લોકોમાં ઉઠી છે.
