ભરૂચ તાલુકાના હિંગલોટ ગામે બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં હિંગલોટ ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં સંજય ધનજી રાઠોડ તેમના ભાઇ વિજય તેમજ ફળિયાના જયંતી રમણ રાઠોડ, રાજેશ રાયમલ રાઠોડ, અલ્પેશ રાયમલ રાઠોડ તેમજ અશ્વિન મંગળદાસ સહિત ફળિયાના અન્ય યુવાનો સાથે ત્રણેક દિવસ પહેલાં હિંગલોટથી દશાન જવાના રોડ પર આવેલાં નાળા પર બેઠાં હતાં. દરમિયાનમાં એકબીજા સાથે મસ્તી કરતી વેળાં સંજયને જયંતિ રાઠોડ સાથે બોલાચાલી થઇ ગઇ હતી. અરસામાં 31મીની રાત્રે તે ગામની પાદરે આવેલી ટાંકી પાસે બેઠો હતો. ત્યારે જયંતિ, રાજેશ તેમજ અલ્પેશ ત્યાં આવ્યાં હતાં તેમણે તેને અપશબ્દો ઉચ્ચારવા લાગતાં સંજય ગભરાઇ ગયો હતો. તેઓ તેને મારશે તેવી ભિતીને લઇને સંજયે ત્યાંથી ભાગીને તે તેના ઘરે જતો રહ્યો હતો. અરસામાં રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં જયંતિ, રાજેશ તેમજ અલ્પેશ રાયમલ રાઠોડ તેમના ઘરની બહાર આવી જોરજોરથી તું પાદર પરથી કેમ ભાગી ગયો તેમ કહીં અપશબ્દો ઉચ્ચારતાં હતાં. જેથી સંજયે તેમને અપશબ્દો ઉચ્ચારવાની ના પાડતાં તેઓએ તેમના પર લાકડીના સપાટા મારી ગંભીર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આસપાસના લોકોએ તેમને છોડાવતાં જયંતિ અને તેના સગરિતોએ તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જતાં રહ્યાં હતાં. બનાવને પગલે પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
