અંક્લેશ્વર પાસે પણ એકસપ્રેસ વે પરથી ઉતરવાનો રસ્તો મળતાં વાહનો ડાયવર્ટ થવાની શક્યતાં
ભરૂચ
ભરૂચ શહેરમાં લોકો ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થઈ ગયાં છે. ત્યારે આગામી દિવસોમાં શહેરમાં ટ્રાફિક ઘટે તેવા આસાર દેખાઈ રહ્યાં છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે ૮ લેનનો એકસપ્રેસ વે બિનસત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત અંકલેશ્વરના પુનગામ પાસે બનાવાયેલાં ડાયવર્ઝન પરથી અંક્લેશ્વર ખાતે ઉતરી શકાય તેમ હોવાથી અંકલેશ્વર- સુરત તરફ જતાં વાહનો હવે તે તરફ વળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
ભરૂચમાંથી પસાર થઈ રહેલાં નેશનલ હાઈવેની સાથે સાથે એકસપ્રેસ વેની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો કુલ ૧૩૮૦ કિમીનો પ્રોજેકટ છે. જે પૈકીનો ૪૧૩ કિમીનો ભાગ ગુજરાતમાંથી પસાર થાય છે. જેમાં ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તરફ ખેડૂતોના પ્રશ્નોને લઈને એકસપ્રેસ વેની કામગીરીને બ્રેક વાગી હતી. જોકે, હાલમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જતાં ભરૂચ-અંકલેશ્વર વચ્ચેનો ૮ લેનનો રોડ બિનસત્તાવાર રીતે વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. વડોદરાથી અંકલેશ્વર-સુરત તરફ જતા મોટા ભાગના વાહનો ભરૂચના દહેગામ ખાતેથી એક્સપ્રેસ વે પરથી ઉતરી શહેરી રસ્તાઓ થઈ નેશનલ હાઈવે પર પહોંચી ત્યાંથી આગળની મુસાફરી કરતાં હતાં. જોકે, હવે અંકલેવરના પુનગામ પાસે ડાયવર્ઝનને ખુલ્લો મુકાતાં હવે અંકલેશ્વર-સુરત તરફ જતાં વાહનો ત્યાંથી અંકલેશ્વરના પુનગામ ખાતે ઉતરી ત્યાથી હાંસોટ, ઓલપાડને જોડતા સ્ટેટ હાઈવે થકી સુરત જઈ શકશે. જેના કારણે ભરૂચ શહેરમાં વાહનોની સંખ્યા ઘટવાને કારણે હવે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
