ભરૂચ
ભરૂચ શહેરમાં ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીમાં જળસપાટી સતત વધી રહી છે. વરસાદી પરિસ્થિતિઓના પગલે નર્મદા નદીનું વહેણ ઝડપથી વધી રહેલું છે. આજ રોજ નદીની જળસપાટી 22 ફૂટના ચેતવણી સ્તરને પાર કરી 25 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જે ખૂબ જ ગંભીર ગણાય છે.જળસપાટી વધવાથી તંત્ર ચિંતિત બન્યું છે અને તાત્કાલિક પગલાં રૂપે નદી કાંઠાના ગામડાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદીના વહેણ અને વધતા પાણીના સ્તરને ધ્યાનમાં રાખીને તાલુકા અને જિલ્લા સ્તરે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભરૂચના નદીકાંઠાના ગ્રામ્ય અને શહેરના નદીતટના વિસ્તારોમાં રહેવાસીઓને સતર્ક રહેવા અને જરૂરી હોય ત્યારે સલામત સ્થળે ખસેડાવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રે NDRFની ટીમોને સ્ટેન્ડબાય પર રાખી છે. મહત્ત્વના સ્થળોએ રેસ્ક્યુ બોટ અને અન્ય સાધનો તૈનાત કરવામાં આવ્યા છે. ભરૂચના કલેકટર અને સ્થાનિક વહીવટીતંત્રએ નિવેદન આપીને જનતાને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યાના કારણે નદીમાં પાણીનું પ્રમાણ જોતજોતામાં વધી ગયું છે. જો વરસાદ અને ડેમમાંથી પાણી છોડવાનું પ્રમાણ યથાવત્ રહ્યું તો આગામી કલાકોમાં જળસપાટીમાં વધુ વધારો થઈ શકે છે. અંતે તંત્ર અને રાહત વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. નાગરિકોએ ઘભરાવાનું નહીં પરંતુ સતર્ક રહેવું જરૂરી છે. તેમજવહિવટી તંત્રએ જણાવ્યું છે.
તંત્રની અપીલ
* નદીના નજીક ન જવાનું
* બાળકોને નદીના તટેથી દૂર રાખવા
* જરૂરી દસ્તાવેજો અને સામાન તૈયાર રાખવો
* તંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું
