ભરૂચ
ભરૂચ શહેરમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આજે શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રવિ પૂજન સોસાયટીમાં રહેતા ગુજરાત અને ભરૂચ જિલ્લાના નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસસ્થાન ઉપર બૌડા વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
હાલમાં જ નિમાયેલા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ નયન કાયસ્થ સામે ગુંડા એક્ટ-2025 મુજબ પગલાં લેવામાં આવ્યા છે. તેના નિવાસસ્થાન ઉપર વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની મળેલી ફરિયાદોના આધારે તંત્ર હરકતમાં આવ્યું હતું.આજે સવારે બૌડા વિભાગના અધિકારીઓએ પોલીસ દળની હાજરીમાં જેસીબી અને હથોડાનો ઉપયોગ કરીને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. ગુંડા એક્ટ હેઠળ નામ નોંધાયેલા વ્યક્તિઓના ગેરકાયદેસર બાંધકામો સામે ભવિષ્યમાં પણ કડક અને નિરંકુશ કાર્યવાહી કરવામાં આવશે.
