ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિએ રોડ અકસ્માતમાં પથારીવશ થયેલા તથા અનાથ હાલતમાં જીવતા બે લોકોને ફરીથી નવજીવન આપી તેમના જીવનમાં નવો પ્રકાશ પાથર્યો છે.રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં રહેતા કિશોરભાઈ રાજપુત (ઉંમર 45 વર્ષ) કામ અર્થે જુલાઈ મહિનાની શરૂઆતમાં ભરૂચ આવ્યા હતા. ભરૂચ રેલવે સ્ટેશન પાસે અજાણી વ્યક્તિ સાથે અકસ્માત થતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકો નિયમિત મુલાકાતે જતા ત્યારે તેમને ટ્રોમા સેન્ટરમાં અનાથ અને અસહાય હાલતમાં જોયા.પછી સ્વયંસેવક હિમાંશુ પરીખના પ્રયત્નોથી હાડકાના નિષ્ણાત ડૉ. કુણાલ ચાંપાનેરી દ્વારા કિશોરભાઈનું ઓપરેશન કરવામાં આવ્યું. યોગ્ય સારવારથી તેઓ હાલ ચાલતા-ફરતા થયા છે. પોતાની માતા પાસે રાજસ્થાન પરત જઈને જીવન વ્યવહાર ગોઠવવાની તેમની મનસા પૂર્ણ થાય તે માટે સંસ્થાએ પરિવાર સાથે એમનું મિલન કરાવ્યું.તે જ રીતે, ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા દિનેશભાઈ રાણા (ઉંમર 55 વર્ષ) લાંબા સમયથી રેલવે સ્ટેશન પર અનાથ હાલતમાં હતા. રેલવે સ્ટેશનના સુપ્રિટેન્ડન્ટ શૈલેષભાઈ પિલ્લઈ દ્વારા જાણ થતાં સેવાયજ્ઞ સંસ્થાની ટીમે તેમને અનાથ ઘરડાઘરમાં આશ્રય આપી યોગ્ય સારવાર કરાવી. હાલ તેઓ સંપૂર્ણ સાજા થઈ ફરી ચાલવા લાગ્યા છે. સંસ્થાની સેવા પ્રત્યે આભાર વ્યક્ત કરતાં દિનેશભાઈએ બાકીનું જીવન ઘરડાઘરમાં સેવા આપવા મન વ્યક્ત કર્યું છે.સેવાયજ્ઞ સમિતિએ અત્યાર સુધી અનેક અનાથ, અસહાય પ્રભુજીઓને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. અને જેમના કોઈ સગાં-સ્નેહી નથી તેઓને પોતાના પરિવાર સમજી જીવનભર સેવા આપે છે.
ભરૂચ સેવાયજ્ઞ સમિતિના પ્રયાસોથી બે અસહાય લોકોને નવજીવન અને સહારો
Advertisement
