ભરૂચ
મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છ ભારત મિશન”નો પ્રારંભ કરાવ્યો છે. આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં “સ્વચ્છોત્સવ”ની થીમ પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા પખવાડીયાના સુચારું આયોજન માટે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, દર વર્ષે ૨ ઓક્ટોબરના રોજ સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવે છે, સ્વચ્છતા હી સેવા પખવાડીયા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સ્વચ્છતા હી સેવા પખવાડીયા અંતર્ગત ભરૂચ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતાની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે.આ બેઠકમાં કલેકટરએ સ્વચ્છોત્સવને જનભાગીદારી સાથે જનઆંદોલન બનાવવા માટે, ડે- વાઈઝ પ્લાનિંગ કરવા, ગ્રાઉન્ડ લેવલે થતી કામગીરીની અમલવારી કરાવવા, સ્પેશ્યલકેમ્પેઈનના ભાગરૂપે જનપ્રતિનિધી, સાંસદશ્રી, ધારાસભ્યોને પણ આ કાર્યક્રમમાં જોડી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા તેમજ સ્વચ્છતા કર્મીઓના અમૂલ્ય કામને બિરદાવવા માટે વિવિધ કાર્યક્રમો-પ્રવૃત્તિઓનું લગત વિભાગોને આયોજન કરવા જણાવ્યું હતું. સ્વચ્છતા અભિયાનની સાથે – સાથે થીમ બેઈઝ સફાઈ અભિયાન કાર્યક્રમોનું આયોજન કરી વ્યાપક રીતે સ્વચ્છતા અભિયાનને સાકાર બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં અઠવાડિક થીમના આધારે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં, તા.૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન ભરૂચ જિલ્લામાં સ્વચ્છોત્સવ કાર્યક્રમ અંતર્ગત દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો ઉપરાંત વિશેષ સ્વચ્છતા ઝુંબેશમાં વિવિધ નદી, તળાવ, વરસાદી પાણીના નાળા જેવી વોટર બોડીસ અને ટ્રેસ ક્લીનર્સ સહિતના સ્થળો, શહેર અને ગ્રામ્યકક્ષાએ બસ સ્ટેશન, રીક્ષા, ટેક્સી, જાહેર પાર્કિંગ, શહેરી વિસ્તારમાંથી પસાર થતા રોડ, રાજ્યના ધોરી માર્ગ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ જેવા સ્થળો તેમજ રોડની સાઈડ પરના કચરાની પણ સંપૂર્ણ સાફ-સફાઈ, ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, બાગ , સાર્વજનિક ઉદ્યાનોજેવા સ્થળોની સાફ-સફાઈ અને કચરાના એકત્રીકરણ અને વર્ગીકરણના તમામ સાધનોની પણ સાફ-સફાઈ હાથ ધરવામાં જણાવ્યું હતું.
