દક્ષિણ ગુજરાત માટે LCS-3 અને DW2 સિગ્નલ જાહેર, માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી
ભરૂચ.
અરબ સાગરમાં બનેલું શક્તિ વાવાઝોડું હાલમાં પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને આગામી કલાકોમાં તેની ગતિ ધીમી પડશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના દરિયા વિસ્તારમાં LCS-3 અને DW2 સિગ્નલ જાહેર કરવામાં આવ્યા છે.
હાલમાં વાવાઝોડું ત્રણ કલાકની પ્રતિઝડપે આગળ વધી રહ્યું છે. 6 ઓક્ટોબરે શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ યુ-ટર્ન લેશે, પરંતુ તેની ગુજરાત પર નહિવત્ અસર જોવા મળશે તેમ હવામાન વિભાગ જણાવી રહ્યું છે. દરિયાકાંઠા પર 40 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમ છતાં ગુજરાતવાસીઓને ભય પામવાની જરૂર નથી.
હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તકેદારીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના આર.એસ.સી. એન.આર. ધાંધલે તમામ તાલુકા સ્તરના અધિકારીઓને શક્તિ વાવાઝોડાને લઈને સતર્ક રહેવા તાકીદ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 8 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયામાં ન ઉતરવા સૂચના આપવામાં આવી છે તેમજ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાહત અને બચાવના તમામ ઉપાયો માટે સંકલનમાં રહેવા માટે સૂચના અપાઈ છે.
