દહેજના વાડી ફળિાયમાં રાત્રે અગિયારેક વાગ્યે બનેલી ઘટના
ભરૂચ.
દહેજના વાડી ફળિયામાં રહેતાં યુવરાજસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા તેમના ઘરે હતાં. તે વેળાં રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં એક યુવાને તેમને ઘરમાં આવી તમને કોઇ બહાર બોલાવે છે તેમ કહેતાં તેઓ ઘરની બહાર નિકળી કોણ બોલાવે છે તે જોવા જતાં ત્યાં મુળજીરાજસિંહ રામસિંહ રણા, જયપાલસિંહ મુળજીરાજસિંહ રણા, રાજપાલસિંહ જયદિપસિંહ રણા, કુલદિપસિંહ વિજયસિંહ રણા, જયદિપસિંહ ચૌહાણ સહિત કેટલાંક લોકો લોખંડની પાઇપ તેમજ લાકડીના દંડા સાથે ત્યાં હાજર હતાં. તેઓ કાંઇ સમજે તે પહેલાં જ તેઓએ તેમના પર હુમલો કરી લોખંડની પાઇપ અને લાકડીના દંડાથી તેમને સપાટા માર્યાં હતાં. તેમનો મિત્ર જયમિનગિરી ગૌસ્વામી તેમને છોડાવવા વચ્ચે પડ્યાં ત્યારે તેમની સોનાની ચેઇન પડી ગઇ હતી. જે શોધવા માટે તેઓ પરત જતાં તેમને પુન: માર માર્યો હતો. અરસામાં તેમના ગેરેજમાં સૂતેલાં કારીગર મુકેશ શર્માએ વચ્ચે પડતાં તેમને પણ લાકડીના સપાટા માર્યાં હતાં. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
