અંક્લેશ્વરની સગીરાના મુસ્લીમ યુવાન હૈદરાબાદ લઇ ગયો હતો
ભરૂચ.
અંક્લેશ્વરની હિન્દુ સગીરાને લગ્નની લાલચે ભગાડી જઇ તેની સાથે દુષ્કર્મ આચરવાના કારસામાં મુસ્લીમ યુવાન વિરૂદ્ધ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. અદાલતે આરોપી મુસ્લીમ યુવાનને 20 વર્ષ કેદની સજા તેમજ 4 લાખનો દંડ ફટકાર્યો છે.
અંક્લેશ્વરના મિરાનગરના આઝાદ નગર ખાતે રહેતા અને મુળ યુપીના ફૈઝાબાદનો વતની અસગર ઉર્ફે આર્યન જયામુદ્દીન શાહ ટેલરિંગનું કામ કરતો હતો. દરમિયાનમાં તેણે અંક્લેશ્વર તાલુકામાં એક વિસ્તારમાં રહેતી એક હિન્દુુ સગીરાનો પિછો કરવાનું શરુ કર્યુું હતું. જે બાદ તેને ધાકધમકીઓ આપી તેમજ લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યાં હતાં. બીજી તરફ સગીરાના પરીવારજનોને ઘટનાની જાણ થતાં તેમણે અસગર સાથે વાતચીત કરતાં તેણે હવે સગીરાનો પીછો નહીં કરે તેવી બાંહેધરી આપી હતી. જોકે, તે બાદ પણ તેણે સગીરા સાથે સંબંધ ચાલુ રાખ્યાં હતાં. અને 2024માં 26મી જાન્યુઆરીએ તે સગીરાને ભગાડી ગયો હતો. સગીરા ગુમ થતાં આસપાસમાં તપાસ કરવા સાથે અસગરની તપાસ કરતાં તે પણ ગાયબ હોવાનું તેમજ તેના મોબાઇલ નંબર સ્વિચ ઓફ આવતાં હોવાનું ધ્યાનમાં આવતાં તે જ સગીરાને ભગાડી ગયો હોવાની શક્યતાને લઇને અંક્લેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની ટીમે તપાસનો દોર શરૂ કરતાં અસગર સગીરાને હૈદરાબાદ લઇ ગયો હોવાનું માલુમ પડતાં ટીમે ત્યાં પહોંચી બન્નેને લઇ આવ્યાં હતાં. આખરે કેસ કોર્ટમાં ચાલી જતાં અદાલતે અલગ અલગ કલમો હેઠળ કસુરવાર ઠેરવ્યો હતો. તેમજ તેને 20 વર્ષની કેદ તેમજ વળતર પેટે કુલ 4 લાખ ચુકવવા માટે હુકમ કર્યો હતો.
