કમોસમી વરસાદથી કાદવ-કિચડ સર્જાયો, રેતી-માટી નાંખવાની કવાયત
ઐતિહાસિક મેળામાં ૮૦૦ કરતા વધારે પ્લોટ-સ્ટોલ લાગ્યા
મેળામાં આવતા શ્રધ્ધાળુઓ માટે તંત્ર દ્વારા આયોજન
ભરૂચ
ભરૂચમાં નર્મદા નદી કિનારે આવેલાં શુક્લતીર્થ ગામે દેવ ઉઠી અગિયારસથી યોજાતા ઐતિહાસિક મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળવામાં રાજ્યભરમાંથી ૪થી ૫ લાબ લોકો ઉમટતાં હોય છે. ત્યારે આ વર્ષે કમોસમી વરસાદને કારણે મેળો પ્રભાવિત થાય તેવી ભિતી સેવાઈ રહી છે. જોકે, ગામ પંચાયત દ્વારા થયેલાં કાદવ કિચડની સમસ્યા દૂર કરવા રેતી-માટી નાંખવાની કવાયત હાથ ધરી છે.
ભરૂચ તાલુકાના પ્રસિધ્ધ એવા નર્મદા નદીના કિનારે આવેલ શુકલતીર્થ ગામ ખાતે પ્રસિધ્ધ જાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. શૈકાઓથી આ યાત્રા યોજાઈ રહી છે જયારે માનબીંદુ સમા આરાધ્ય દેવ શ્રી ઓમકારેનાથ (વિષ્ણુ ભગવાન) ની સ્વયંભુ પ્રાગટય થયેલ રેતીની મુર્તિ તેમજ તપસ્યા કરી શ્રી શુકલેશ્વર મહાદેવ (શિવલીંગ) ની સ્થાપના થયેલ છે, એવા પવિત્ર તીર્થધામ શુકલતીર્થ ખાતે પરંપરાગત શુકલતીર્થનો મેળો તા.૨-૧૧-૨૫ ના રવિવારથી તા. ૯-૧૧-૨૫ થી રવિવાર સુધી યોજાનાર છે.
જયાં એમ કહેવાય છે કે, સુક્ષ્મ સ્વરૂપે દેવી શક્તિઓ ઉપસ્થિત રહી યાત્રાળુઓને આર્શિવાદ આપે છે. આ દિવ્ય માનબીંદુ સમા તીર્થ ક્ષેત્રમાં નર્મદા સ્નાન અને મહાદેવના દર્શનનો લાભ લેવો એ ખૂબ પુણ્યનું કામ માનવામાં આવે છે. આ યાત્રામાં નર્મદા નદિના કિનારે અંદાજીત ૮૦૦ કરતા વધુ સ્ટોલો ઊભા કરવામાં આવ્યા છે. જેમાં મનોરંજન સ્ટોલમાં ચકડોળ, મોતનો કુવો, સર્કસ, જાદુગર તેમજ અન્ય સ્ટોલો ઉભા કરવામાં આવનાર છે. આ સાથે ખાદ્યસામગ્રીઓના પણ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. વિવિધ પ્લોટ-સ્ટોલના કામચાલઉ ભાડાથી અંદાજે ૩૩થી ૩૫ લાખની આવકનો અંદાજ છે
હાલમાં કમોસમી વરસાદી વરસી રહ્યો હોવાને કારણે મેળામાં તેની અસર વર્તાય તેવી સ્થિતી ઉભી થઈ છે. ત્યારે વરસાદને કારણે મેળા વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાવા સાથે કાદવ-કિચ્ચડનું સામ્રાજ્ય ફેલાતાં ગ્રામ પંચાયતની ટીમ પણ એક્શનમાં આવી છે.પંચાયત દ્વારા રેતી-માટી નાંખીને કાદવ-કિચ્ચડ દૂર કરવાની કવાયત હાથ ધરી છે.
શુકલતીર્થના કિનારે યોજાનાર આ યાત્રામાં આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર, ફાયરબ્રિગેડ, તરવૈયા, મહિલા સ્કોડ તેમજ માહિતી અંગેના સ્ટોલો પણ ઉભા કરવામાં આવ્યા છે. યાત્રાળુઓના વાહન માટે ખાસ પાર્કિંગની જગ્યા ઉભી કરવામાં આવી છે. એસ.ટી.તંત્રને પણ યાત્રાના દિવસો દરમ્યાન નિયમિત બસની ટ્રીપ ગોઠવાઈ તે અંગેનું આયોજન કરવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. કલેકટર ગૌરાંગ મકવાણા તેમજ ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા દ્વારા પણ આ યાત્રાનું આયોજન સફળ રીતે થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.
મેળાની સફળતા અંગે અન્ય જાહેરનામાં પણ બહાર પડાયા ભરૂચના શુકલતીર્થ યાત્રાધામ ખાતે યોજાનાર યાત્રા અંગે તા. ૨ થી તા. ૯-૧૧-૨૫ સુધી શુકલેશ્વર મહાદેવનો કારતિકી પૂનમનો મેળો યોજાનાર છે તેથી મેળામાં કોઈપણ ઈસમોએ પોતાની હાથલારીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ ઉપરાંત રોગચાળો ફાટી ન નીકળે તે માટે પાણી પીવા માટે નિયત કર્ણ હોય તેવી જગ્યાની નજીકના ૧૨ ફુટના વિસ્તારમાં નહાવુ-ધોવુ કે કપડા ધોવા કે જાનવરોને નવડાવવા કે વાહનો પોવાપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત શૌચાલયની પુરતી વ્યવસ્થા હોવાના પગલે અન્યત્ર શૌચક્રિયા ન કરવા તેમજ અખાદ્ય પદાર્થોનું વેચાણ ન કરવા અને અન્ય નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
દેવદિવાળીની જાત્રા માટે ૧૦૦થી વધુ એકસ્ટ્રા બસો દોડશે શુક્લતીર્થ ખાતે યોજાતી દેવ-દિવાળીને જાત્રામાં ભરૂચ શહેર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો મેળો મહાલવા માટે જતાં હોય છે. ત્યારે ટ્રાફિક સમસ્યાના નવારણ માટે વાહનોને ડાયવર્ઝન આપવા સાથે મેળામાં જતાં લોકો માટે સ્પેશિયલ ૧૦૦થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું એસટી વિભાગે નક્કી કર્યું છે. જે માટે ભરૂચ બસ ડેપો ખાતે સુવિધાઓ ઉપ્લબ્ધ કરવા સાથે શુકલતીર્થમાં બસ સ્ટેન્ડ ઉભું કરી મુસાફરોને લાવવા-લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
