બન્ને વૃદ્ધાને રીક્ષામાં બેસાડી ભરૂચ મામલતદાર કચેરીએ ઉતારી હતી
આંગણવાડી મહિલા તરીકે ઓળખ આપી વૃદ્ધાનો વિશ્વાસ જીત્યો
। ભરૂચ ।
અંકલેશ્વરના દિવારોડ પર આવેલાં નિલમાધવ રેસિડન્સી ખાતે રહેતાં ૬૫ વર્ષીય ભાનુબેન રમણલાલ પંચાલ ગત ૧૬મી ઓક્ટોબરના રોજ સવારના સમયે ઘરેથી લોટ લેવા માટે ચૌટા બજાર ગયાં હતાં. જ્યાંથી તેઓ પરત આવી રહ્યાં હતાં. તે વેળાં એક અજાણી મહિલા પાછળથી તેમની પાસે આવી તેમને દાદી ક્યાં જાવ છો કહેતાં તેમણે તેને લોટ લેવા ગઈ હોવાનું જણાવતાં મહિલાએ તેમને જણાવ્યું હતું કે, તે અગાઉ આંગણવાડીમાં નોકરી કરતી હતી. અને હાલમાં તે વિધવા મહિલાઓને પેન્શન ચાલુ કરાવી આપવાનું કામ કરે છે.જો તમે વિધવા હોવ તો તમારુ પેન્શન કરાવી આપું. જેથી તેમણે તેના પર વિશ્વાસ બેસતાં પોતાનું પેન્શન ચાલુ કરવવાનું છે તેમ કહેતાં મહિલાએ તુરંત તેમને ચાલો મારી સાથે ભરૂચ મામલતદાર કચેરીએ જઈ તમારૂ પેન્શન ચાલુ કરાવી આપુ તેમ કહીં તેમને રીક્ષામાં બેસાડી હતી.
જે બાદ રીક્ષા તેઓ વાલિયા ચોકડી પાસે લાવ્યા હતાં. જ્યાંથી બીજી રીક્ષા શિતલ સર્કલ માટે અને શિતલ સર્કલથી ત્રીજી રીક્ષામાં બેસાડી તેઓ મામલતદાર કચેરી તરફ આવવા નિકળ્યાં હતાં. શિતલ સર્કલ પાસે પહોંચતાં તેમણે પહેલાં ૮૫૦૦ રૂપિયા વૃદ્ધાને આપી હાલમાં આટલા રૂપિયા રાખો મામલતદાર કચેરીએથી બીજા અપાવીશ તેમ જણાવ્યું હતું. રીક્ષા સિવિલ હોસ્પિટલ પાસે પહોંચતાં તેમણે ગેટ પર રીક્ષા ઊભી રાખી હું આવું છું હમણાં કહી ત્યાંથી ગયાં બાદ થોડી વારમાં એક બીજી વૃદ્ધાને તેઓ સાથે લઈ આવી હતી. તેમને પણ રીક્ષામાં બેસાડી તેમણે બીઓબી સ્ટેશન રોડ ખાતે તેમને લઈ ગયાં હતાં. તેમણે બેંકમાં જઈ પરત આવી તેમની સાથે આવેલી બીજી વૃદ્ધા ભાવના રમેશ ચૌહાણ (રહે. ધોળીકુઈ બજાર) ને ૪૫૦૦ રૂપિયા આપ્યાં હતા.
જે બાદ તેમણે રીક્ષા મામલતદાર કચેરીના ગેટ પાસે ઉભી રખાવી તમારે ત્યાં ગરીબ દેખાવાનું છે તેમ કહી તેમના તમામ પહેરેલાં ઘરેણા તેમજ તેમને આપેલાં રૂપિયા જેના તેના પાકિટમાં મુકાવી તે પોતાની પાસે લઈ લીધાં હતાં. જે બાદ તે કચેરીમાં ગઈ હતી. દોઢેક કલાક સુધી તેઓ બહાર રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ તેઓ પરત નહી આવતાં તેમણે અંદર જઈ તપાસ કરતાં મહિલા ક્યાંય નહીં દેખાતાં તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડયું હતું. ઘટનાને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
