પદયાત્રા પહેલાં રોડ-રસ્તાના કામો પુર્ણ થાય તેવા પ્રયાસ
ભરૂચ.
“એક ભારત- આત્મનિર્ભર ભારત”ની થીમ હેઠળ યોજાનારી પદયાત્રાની પત્રકાર પરીષદમાં પદયાત્રાના સમયે ખરાબ રસ્તાઓને કારણે લોકોને પડનારી તકલીફો કેવી રીતે દૂર થશે તે અંગે ચર્ચા થતાં સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ છેલ્લાં કેટલાંક સમયથી ઝઘડિયા-વાલિયા તેમજ નેત્રંગ પંથકમાં બની રહેલાં રોડ રસ્તાના કામો કે જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે આરએન્ડબી વિભાગ દ્વારા કરાતાં હોય તેનું નિરિક્ષણ કરતાં રહે છે. હાલમાં જ એક સ્થળે રસ્તાના કામ માટે વપરાતું મટિરીયલ ખરાબ હોવાનું ધ્યાને આવતાં તેમણે કામ રોકવા સાથે કોન્ટ્રાક્ટર અને સંલગ્ન અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવા પ્રયાસ કરવાનું જણાવ્યું હતું. જોકે, ખરાબ રસ્તાઓ માટે માત્ર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર જ જવાબદાર છે કે પછી જે તે સ્થાનિક સંસ્થાની સત્તા જેના હાથમાં છે તે સત્તાધિશોની પણ તેમા જવાબદારી આવે તેવો પ્રશ્ન થતાં તેમણે સ્વિકાર્યું હતું કે, અધિકારીઓ સત્તાધિશોના દબાણમાં કામ કરે છે. ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય કોઇ પક્ષ હોય ઝઘડિયા સહિતના વિસ્તારમાં અનેક રાજકિય આગેવાનોની ક્વોરી આવેલી છે. જ્યારે કેટલાંકમાં તેમનો સીધો તો કેટલાંકમાં આડકતરી રીતે ભાગ છે. તેઓની ક્વોરીમાંથી જ આ ખરાબ મટિરીયલ આવતું હોય છે. ત્યારે સીએમ ભુપેન્દ્ર પટેલની પારદર્શી વહિવટી સરકારી તંત્ર આ મામલે કાર્યવાહી કરશે.
