ઝઘડિયા તાલુકામાં બે અલગ અલગ અકસ્માતોમાં એક પરપ્રાંતિય શ્રમજીવીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય અકસ્માતમાં મોપેડ સવાર દંપતિને ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ગત રાત્રે સારસા-રાજપારડી માર્ગ પર સીંગચણાની લારી ફેરવીને ગુજરાન ચલાવતા 45 વર્ષીય રામબરન મહારાજદીન બહેલિયા (રહે. રાજપારડી,મૂળ ઉત્તરપ્રદેશ) રાજપારડી તરફ પાછા ફરતા હતા. આ દરમિયાન રાત્રીના પોણા આઠ વાગ્યાના અરસામાં માધુમતી ખાડીના પુલ નજીક અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ થવાને કારણે તેઓ લોહીલુહાણ થયા હતા. આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે.
ઇજાગ્રસ્તને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અવિધા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના સ્થળેથી અજાણ્યા વાહનચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. રાજપારડી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છેકે, ઘટનાસ્થળથી રાજપારડી ચાર રસ્તા સુધીના વિસ્તારમાં અનેક ધંધાકીય સ્થળોએ સીસીટીવી કેમેરા સ્થાપિત છે, જેના આધારે પોલીસ અકસ્માત સર્જી નાસી ગયેલા વાહનની ઓળખ માટે તપાસ ચલાવી રહી છે. બીજી ઘટના ગોવાલી નજીકની છે, જ્યાં તા.8મીના રોજ રાત્રીના નવ વાગ્યાના અરસામાં હાઇવા ટ્રકે એક્ટિવા મોપેડને અડફેટમાં લેતા મોપેડ સવાર ધનરાજ મંગાભાઇ પટેલ અને તેમની પત્ની ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આ ઘટનાને લઇ ઝઘડિયા પોલીસે હાઇવા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભરૂચ- ઝઘડિયા ધોરીમાર્ગ પર સતત વધતા અકસ્માતો લઇ લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠી છે.
