ગામમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન તેમજ સ્વચ્છતાને લઈને ડીડીએ તાકીદ કર્યાં હતા
। ભરૂચ ।
ભરૂચ તાલુકા વિકાસ અધિકારી દ્વારા નંદેલાવ અને રહાડપોર ગામના તલાટી નિલેશ જે. પટેલને કારણદર્શક નોટિસ આપવામાં આવતાં મામલો ચર્ચાના એરણે છે. નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક મહિના પહેલાં રાખવામાં આવેલી મિટીંગમાં તેમને ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવા તેમજ ગામમાં સ્વચ્છતા રાખવા સાથે ગામની બાજુમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવેની આજુ-બાજુ એટલે કે બન્ને તરફ વ્યાપક પ્રમાણમાં ગંદકી જોવા મળી હતી. જેથી ડીડીઓએ જે તે સમયે તેમને તાત્કાલિક એક્શનમાં આવી વિસ્તારમાં સફાઈ કરાવવામાં આવે તેવી સુચના આપી હતી. જોકે, તે બાદ પણ તેમણે ડીડીઓના સુચવેલાં કામોમાં નિરસતા દાખવી હતી. ઉપરાંત ટીડીઓ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગામમાં ડોર ટુ ડોર કચરા બાબતે વોટ્સ એપ અને મિટીંગમાં વારંવાર સૂચના આપવા છતાં પણ ફરજ પ્રત્યેની નિષ્કાળજી દેખાતાં તેમને બે દિવસમાં લેખિતમાં ખુલાસો કરવા માટે કારણદર્શક નોટિસ આપી હતી. જો, તેઓ દ્વારા તેનો જવાબ આપવામાં નહીં આવે તો અથવાતો તેમાં ચૂક થશે તો તેમની સામે પંચાયત સેવા શિસ્ત અને અપીલના નિયમો ૧૯૯૭ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.
