અમલેશ્વરના સરપંચે તેમના જન્મ દિવસે અનોખો અને સમાજને જાગૃત કરતો નિર્ણય
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રણાએ સમાજમાં જાગૃતિ આવે તેવા ઉદેશ્ય અને મૃત્યુ બાદ પણ તેઓ કોઈને જીવનદાન આપી શકે તે આશય સાથે પોતાના ૫૧માં જન્મ દિવસે પોતાના અને પોતાના પરિવારજનોના અંગદાનની સત્તાવાર જાહેરાત કરી હતી.
હાલના સમયમાં અંગદાન એ જીવનનું સૌથી મોટું અને અદ્વિતિય દાન છે. ભારત દેશમાં દર વર્ષે ૪૦૦ કરતાં વધુ દદીઓ તેમને સમયસર અંગદાન નહીં મળવાને પોતાના પ્રાણ ગુમાવે છે. ત્યારે માનવતાના ધોરણે તેમજ સામાજિક રીતે કોઈ વ્યક્તિના પ્રાણ બચાવવા માટે અંગદાન કરવું જરુરી બન્યું છે. ત્યારે અંગદાન કરવાના ઉત્કૃષ્ઠ કાર્યમાં ભરૂચ તાલુકામાં આવેલાં અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ તેમજ તેમના પરિવારે પોતાનું યોગદાન કર્યું છે. ગઈકાલે અમલેશ્વરના સરપંચ કિરીટસિંહ રણાનો ૫૧મો જન્મ દિવસ હોઈ પરિવારજનો તેમજ તેમના પરીચિતો સાથે તેમણે તેમનો વર્ષગાંઠ ઉજવ્યો ત્યારે તેમણે કરેલી જાહેરાતે હાજર લોકોને ચકિત કરી દીધાં હતાં. તેમણે પોતાના અને પોતાના પરિવારના એટલે કે પત્ની હેમાંગીબા રણા, તેમજ સંતાનો હેમરાજસિહ રણા અને મહાવીરસિંહ રણા એમ ચારેયના અંગદાનની જાહેરાત કરી હતી. સરપંચ કિરીટસિંહ રણાએ જણાવ્યું હતું કે, અકસ્માતગ્રસ્ત કે પછી એવા લોકો કે કોઈ જટીલ બિમારીના કારણે કે પછી કુદરતી રીતે પોતાના શરીરના અંગ ગુમાવનારાઓ પૈકીના કેટલાંય સમયસર અંગદાન નહીં મળવાને કારણે પ્રાણ ગુમાવે છે. ત્યારે સમગ્ર સમાજને અંગદાન તરફ પ્રેરવા માટે તેમજ અંગદાનથી અન્ય લોકોને જીવન આપી શકાય તે માટેનો તેમનો એક પ્રયાસ છે.
