પ્રક્રિયા પુર્ણ થયાં બાદ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં સહાયની રકમ જમા થશે
ભરૂચ
ઓક્ટોબર મહિનામાં થયેલાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાક નુકશાનનો મારો વેઠવો પડયો હતો. જોકે, સરકાર દ્વારા ખેડૂતોને કૃષિ રાહત પેકેજ જાહેર કરી ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
રાજ્યભરમાં ગત ઓક્ટોબરમાં થયેલાં કમોસમી વરસાદને ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થયું હતું. જેને કારણે ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરના ખેડૂતોને કુલ ૯,૮૧૫ કરોડ રૂપિયા નુકસાની સહાય પેટ ફાળવવામાં આવ્યા છે. જોકે, કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે કેઆરપી પોર્ટલ પર ફાર્મ ભરવા જણાવાયું છે. ૧૪મી નવેમ્બરથી પાક સહાય માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં કુલ ૨ લાખ હેકટરમાં ખેડૂતોએ વાવેતર કર્યું હોવાનું ખેતિવાડી વિભાગમાંથી જાણવા મળી રહ્યું છે. કમોસમી વરસાદામાં ૩૩ ટકા જેટલું નુકસાન થનારા ખેડૂતોને કૃષી રાહત પેકેજનો લાભ મળશે તેવી જાહેરાત પણ કરાઈ છે. ત્યારે હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની કવાયત શરુ કરવામાં આવી છે. ઓનલાઈન અરજીની પ્રક્રિયા પુર્ણ થયાં બાદ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં સહાયની રકમ જમા કરવામાં આવશે.
ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સાથે રાખવા તાકીદ ભરૂચ જિલ્લામાં એકલાખ ખેડૂતો અસરગ્રસ્ત ખેડૂતોની શ્રેણીમાં આવતાં હોવાનું માલુમ પડયું છે. જેને પગલે તેમને સત્વરે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવા જણાવાયું છે. કૃષિ સહાય મેળવવા માટે ખેડૂતોએ ૩/૧૨ની નકલ, આધારકાર્ડ, તલાટીનો વાવેતર દાખલો, બેન્ક પાસબુક અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજો પુરા પાડવાના રહેશે.
