તા. ૨૮ નવેમ્બર સુધી ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સાથે VCE/VLE મારફતે મફતમાં અરજી કરવી
ભરૂચ
ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન થયેલા કમોસમી વરસાદને કારણે ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતોને થયેલ પાકનુકસાનને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ સહાય મેળવવા માટે તમામ ખેડૂત મિત્રોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવી રહેશે. અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ સાથે નીચે મુજબના દસ્તાવેજો ગ્રામસેવકને અરજી કર્યાના બીજા દિવસે જમા કરાવવાની રહેશે.
દસ્તાવેજોમાં આધાર કાર્ડ, ૭/૧૨ અને ૮-A ની નકલ, બેંક પાસબુકના પ્રથમ પાનાની IFSC સાથેની નકલ, તલાટી કચેરીનો પાક વાવેતરનો દાખલો, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારની “ના વાંધા” સહીવાળું સંમતિ પત્રક સાથે બિડાણ કરીને અરજી કરવાની રહેશે. ખેડૂતોએ તા. ૧૪/૧૧/૨૦૨૫ થી ૨૮/૧૧/૨૦૨૫ સુધી (કુલ ૧૫ દિવસ) https://www.krp.gujarat.gov.in પોર્ટલ પર VCE/VLE મારફતે અરજી કરી શકાશે.
આ અંગે ખેડૂતોએ અરજી કરવા માટે કોઈપણ પ્રકારનું ચૂકવણું કરવાનું નથી. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી તરફથી પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.
