નવા સિમાંકનની જાહેરાતની આદિવાસીઓનો અધિકાર સમાપ્ત થઈ જશે: આદિવાસી આગેવાનોનો ઉવાચ
૩૪ બેઠકો પૈકી ૧ અનુસુચિત જાતી, ૧૩ અનુસુચિત જનજાતી, ૩ સા. શૈ. પછાત વર્ગ તેમજ ૧૭ બીન અનામત બેઠકો
ભરૂચ.
રાજ્યમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ જાહેર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની અનામત બેઠકોની વારાફરતી ફાળવણી કરવામાં આવી છે. જેમાં જિલ્લા પંચાયતના મતદાર મંડળોનું સિમાંકન કરી બેઠકોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં ભરૂચ જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકો પૈકી ૧ અનુસુચિત જાતી, ૧૩ અનુસુચિત જનજાતી, ૩ સા.શૈ.પછાત વર્ગ તેમજ 17 બીન અનામત બેઠકો રાખવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયતો તેમજ તાલુકા પંચાયતોના સિમાંકનોની જાહેરાત કરવામાં આવતાં ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયાં હોવાનું લાગી રહ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયતની ૩૪ તેમજ તાલુકા પંચાયતની ૩૦ બેઠકોનું સિમાંકન જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો પૈકી ૧૭ બીન અનામત.૩ સા. શૈ . ૫. વર્ગ માટે ૩ અને અનુસુચિત જનજાતી માટે ૧૩ અને અનુસુચિત જાતી માટે ૧ બેઠક ફળવાઈ છે. જેમાં પણ ૫૦ ટકા સ્ત્રી અનામત બેઠકમાં સામાન્ય સ્ત્રીઓ માટે ૮ સામાન્ય બેઠક, સા. શૈ. ૫. વર્ગ માટે ૨ અને અનુસુચિત જનજાતી માટે ૭ બેઠક ફાળવી છે. નવા સિમાંકનને લઈને આગામી દિવસોમાં વિરોધ નોંધાય તેવી શકયતાઓ વર્તાઈ રહી છે. નવા સિમાંકન બેઠકમાં આદિવાસી વિસ્તારોમાં સામાન્ય અને સામાન્ય બાહુલ વિસ્તારમાં આદિવાસી બેઠકો જાહેર કરવામાં આવી હોવાનો રોષ લોકો વ્યક્ત કરી રહ્યાં છે.
આદિવાસી આગેવાનોએ જણાવ્યું હતું કે, ટ્રાઈબલ વિસ્તારની એસટી આદિવાસી સીટો રિઝર્વ હતી. જે નવા જાહેરનામામાં અનામત સામાન્ય કરી દેવામાં આવી છે. તે જ પ્રમાણે બીનઅનામત રિઝર્વે સીટો હતી. તે વિસ્તારોને આદિવાસી સીટો જાહેર કરવામાં આવી છે. જે જોતા નવા જાહેરનમાંથી આદિવાસીઓને મોટો અન્યાય થઈ રહ્યો છે
બંધારણમાં આદિવાસઓને મળેલાં હક્કો પર તરાપ મારી છે જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ અને કોંગ્રેસના આગેવાન અનિલ ભગતે જણાવ્યું હતું કે, ભારતના બંધારણમાં આદિવાસીઓને મળેલાં અનુસૂચી-૫ની જોગવાઈના હક્કો તેમજ પેસા કાનુનના ઉદેશ્યના વિરુદ્ધમાં રાજકિય દ્રષ્ટીકોણથી નવુ સિમાંકન કરવામાં આવ્યું છે. જેમાં આદિવાસીઓના હક્કો પર તરાપ મારવામાં આવી છે. ચૂંટણી પંચે બંધારણીય અધિકારોની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈતો હતો.
ઝઘડિયાની ૪ પૈકી ૩ બેઠકો સામાન્ય કરી દીધી ઝઘડિયા તાલુકો આદિવાસી બાહુલ વસ્તી ધરાવતો તાલુકો છે. ઉપરાંત તે પેસા એક્ટ હેઠળ આવતો હોવાથી ત્યાં આદિવાસી સમાજને પ્રાધાન્ય મળે તે રીતે તેમને સીટ ફાળવવાની થતી હોય છે. જોકે, તેના બદલે ચાર પૈકી ૩ બેઠકો સામાન્ય કરી દેવાઈ છે. જેમાં ધારોલીની એક સીટ માત્ર અનસૂચિત આદિજાતી સ્ત્રીને મળી છે. જયારે અન્ય બેઠકો જેમાં રાજપારડીમાં સામાન્ય સ્ત્રી. સુલતાનપુરામાં બીન અનામત સામાન્ય અને વાઘપુરા(દુ)માં સામાન્ય સ્ત્રીની સીટ ફળવાઈ છે.
વાલિયામાં પણ એક સીટ સામાન્યને અપાઈ બેઠક ફાળવણીની પ્રક્રિયામાં આદિવાસીઓના હક્કો છીનવાઈ રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે વાલિયા પંથકની બેઠકો પૈકીની વાલિયાની એક બેઠક બિન અનામત સામાન્ય જાહેર કરાઈ છે. જયારે પઠાર બેઠક પર અનુસુચિચ આદિજાતિ સ્ત્રી તેમજ ડહેલીની બેઠક પર અનુસુચિત આદિજાતીની બેઠક ફળવાઈ છે.
ભરૂચની ભોલાવ સહિત ૪ સીટ પર મહિલા અનામત ભરૂચ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો પૈકી ભરૂચની કુલ ૮ બેઠકો છે. જે પૈકીની ભોલાવ અને ઝાડેશ્વર બેઠક પર સામાન્ય રીતે સૌની મીટ મંડાતી હોય છે. ભરૂચની ૮ બેઠકોમાં ભાડભૂત, ભોલાવ, ઝાડેશ્વર, નબીપુર, પાલેજ, શેરપુરા તેમજ શુક્લતીર્થ બેઠક છે. જેમાં ભોલાવની બેઠક જે સા. શૈ. પછાત વર્ગ હતી તે હવે અનુસુચિત આદિજાતી સ્ત્રીને અપાઈ છે. જ્યારે અન્ય બેઠકોમાં ભાડભૂત બેઠક પર સામાન્ય સ્ત્રી, ઝાડેશ્વર બેઠક પર અનુસુચિત આદિજાતી, નબીપુરમાં બિન અનામત સામાન્ય, પાલેજમાં અનુસુચિત આદિજાતી સ્ત્રી, શેરપુરા બેઠક પર સામાન્ય સ્ત્રી અને શુકલતીર્થ બિનઅનામત સામાન્ય બેઠક જાહેર કરાઈ છે.
