ભરૂચ.
નાબાલિક પર થયેલા પોસ્કો જેવા ગંભીર ગુનાની ફરિયાદ લેવામાં પોલીસે કરેલા બિનજરૂરી વિલંબને લઈને કોર્ટ આકરા સ્વરમાં ત્રાટક્યું છે. સગીરાના પરિજનો ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ચક્કર કાપતા રહ્યા, પરંતુ યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી ન થતાં અંતે પીડિતાને ન્યાયની માંગ સાથે કોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા હતા.
કોર્ટ દ્વારા કરવામાં આવેલી ઈન્કવાયરીમાં સ્પષ્ટ થયું કે નબીપુર પોલીસ સ્ટેશનના બે પોલીસ ઇન્સ્પેક્ટર એ. એચ. છૈયા તેમજ આર. કે. દેસાઇ, પી.એસ.ઓ અહેકો જીગર હરગોવિંદભાઇ અને તત્કાલીન પોલીસ વડા મયુર ચાવડાની બેદરકારીને કારણે ફરિયાદ લેવામાં અનાવશ્યક વિલંબ થયો હતો. પરિણામે કોર્ટએ આ તમામ અધિકારીઓને 16 ડિસેમ્બરે પોસ્કો કોર્ટમાં વ્યક્તિગત હાજરી આપવા કડક આદેશ આપ્યો છે.
પીડિતાના વકીલની ધારદાર દલીલો અને ન્યાય માટેની અવિરત લડતના પગલે કોર્ટએ ન્યાયના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.મહિલા સુરક્ષા અને સલામતીના મોટા મોટા દાવાઓ વચ્ચે પોસ્કો પીડિતાની ફરિયાદ લેવામાં વિલંબ થવો અને આરોપીને બચાવવાનો વલણ હદયદ્રાવક અને ચિંતાજનક છે. કોર્ટના આ પગલાથી હવે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીનો માર્ગ ખુલ્યો છે અને પીડિતાને ન્યાય મળે તેવી આશા મજબૂત બની છે.
