ગ્રામ પંચાયતે શખ્સની જમીન પર રોડ બનાવી દીધો હતો
ભરૂચ.
ભરૂચના ઝાડેશ્વર ગામે વર્ષ 2006માં તત્કાલિન સરપંચે પ્રજાપતિ ફળિયામાં રહેતાં શખ્સની જમીન પર દોઢ મીટરનો રોડ બનાવી દીધો હતો. પોતાની જમીન પર પંચાયતે જ દબાણ કરી લેતાં શખ્સે પહેલાં સ્થાનિક કક્ષાએ અનેક રજુઆતો કરી હતી. જોકે, તેમને કોઇ દાદ નહીં મળતાં આખરે તેમણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. અદાલતે તેમના તમામ દસ્તાવેજી પુરાવાઓ તેમજ દલીલો તેમજ અન્ય મુદ્દાઓને આધારે ગ્રામ પંચાયતે કરેલું દબાણ દૂર કરવાનો હૂકમ કરતાં આખરે પંચાયત દ્વારા તે દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
ઝાડેશ્વર ના પ્રજાપતિ ફળિયામાં રહેતા ગિરીશભાઈ પ્રજાપતિ ની જમીન માં તત્કાલીન સરપંચ ધ્વારા 2006 માં દોઢ મીટર નો ગેરકાયદેસર રીતે રોડ બનાવી દેવામાં આવ્યો હતો. પોતાની જમીન પર થયેલ આ દબાણ સામે ગિરીશ ભાઈ એ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈજ કાર્યવાહી કરવામાં આવી ન હતી.અંતે થાકી હારીને તેઓએ કોર્ટ ના દ્ધાર ખખડાવ્યા હતા..જેમાં જમીનની માલિકી ના પુરાવાઓ સહિત જરૂરી અન્ય દસ્તાવેજી પુરાવાઓ તેઓએ રજૂ કરી જમીનની માલિકી પુરવાર કરી હતી.જોકે લગભગ ઓગણીસ વર્ષની લાંબી લડત બાદ ત્રીજા એડીશનલ સીનીયર સીવીલ જજ અને એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ. કોર્ટ દ્વારા ગ્રામ પંચાયત ઝાડેશ્વર દ્વારા થયેલ અતિક્રમણ અંગે જિલ્લા નિરીક્ષક જમીન દફતર ભરૂચને દબાણ દૂર કરવાનો હુકમ કરી કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરી રીપોર્ટ કરવા જણાવ્યું હતું.
કોર્ટના હુકમ ના પગલે ઝાડેશ્વર ખાતે પોલીસ બંદોબસ્ત સાથે હાલના સરપંચની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર બનાવી દેવામાં આવેલ રોડ ને જેસીબી સહિતની સામગ્રી થી તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ઓગણીસ વર્ષ ની લાંબી લડત બાદ ન્યાય મળતા જમીન માલિક ગિરીશભાઈ પ્રજાપતિએ આ કામગીરીને આવકારી સત્યની જીત થઈ હોવાનું કહ્યું હતું.
